Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઇઓની પરેશાનીઓનો કોઇ જલ્‍દી ઉકેલ શોધેઃ કોરોનાના કેસ દિલહીમાં વધી રહ્યા છે તે ખુબ દુઃખદઃ ધર્મેન્‍દ્રએ ટ્‍વિટ કરીને ડિલીટ કરી નાખ્‍યુ

નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન ચર્ચામાં છે. એવામાં બોલીવુડ હસ્તીઓ પણ આ મુદ્દે પોતાના મત રજુ કરી રહ્યા છે. ખેડૂત ખુબ પરેશાન છે અને હવે તેમની પરેશાનીથી બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ ચિંતિત થઈ ગયા છે. ધર્મેન્દ્રએ સરકારને આ પરેશાનીનો ઉકેલ લાવવાની વાત કરી છે. ધર્મેન્દ્ર એ ટ્વીટ કરીને દેશની સરકાર પાસે માંગણી કરી કે તેઓ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કાઢે. પરંતુ પછી ખબર નહીં શું થયું કે ધર્મેન્દ્રએ ટ્વીટ હટાવી દીધી.

ધર્મેન્દ્રએ ટ્વીટમાં કરી હતી આ વાત

વેબસાઈટ 'બોલીવુડ લાઈફ'માં છપાયેલા અહેવાલ મુજબ ધર્મેન્દ્રએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે 'સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઈઓની પરેશાનીઓનો કોઈ જલદી ઉકેલ શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યા છે. તે ખુબ દુ:ખદ છે.'

ખેડૂત પરિવારમાંથી આવે છે ધર્મેન્દ્ર

અત્રે જણાવવાનું કે ધર્મેન્દ્ર પણ ખેડૂત પરિવારથી આવે છે અને મૂળ તેઓ પંજાબના છે. ધર્મેન્દ્રને એ જ કારણે ખેડૂતોની ચિંતા થઈ રહી છે અને તેઓ હાલાતને જોઈને ચૂપ રહી શક્યા નહીં હોય. ધર્મેન્દ્રએ ટ્વીટ સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તેઓ ખુબ ઉદાસ જોવા મળતા હતા.

અનેક દિવસોથી ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો અનેક રાતથી દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારત સરકારે તાજેતરમાં ત્રણ બિલ પાસ કર્યા હતા, જેના વિરુદ્ધ સમગ્ર દેશના ખેડૂતો રસ્તા પર છે. આ ખેડૂતોની માગણી છે કે સરકાર આ કાયદા કોઈ શરત વગર પાછા ખેંચે. જો કે સરકાર ખેડૂતોને એ ભરોસો અપાવવાની કોશિશ કરી રહી છે કે આ બિલ્સથી હાલાત સુધરશે. ખેડૂતો અને સરકાર વચ્ચે સંવાદનો દોર ચાલુ છે. જો કે હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.

(5:43 pm IST)