Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

OTT પર રીલિઝ થઇ શકે છે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી

રોહિત શેટ્ટીની આ મલ્ટી સ્ટાર ફિલ્મ ગયા વર્ષે ૨૦૨૦માં જૂનમાં રીલિઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને લીધે થિયેટર્સ બંધ થતાં ફિલ્મ રીલિઝ થઇ શકી નહીં

મુંબઇ,તા. ૧૪: હાલમાં જ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કોરોનાને માત આપી હોસ્પિટલથી ઘરે પહોંચ્યો છે. બીજી બાજુ, તેની ફિલ્મ સૂર્યવંશીની રીલિઝ પર તલવાર લટકી રહી છે. સ્થિતિ સુધરતાં ફિલ્મને આ વર્ષે રીલિઝ કરવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ થોડા દિવસો અગાઉ આ રીલિઝને ફરી ટાળવામાં આવી હતી. હવે આ ફિલ્મની રીલિઝ અંગે વધુ એક વાત સામે આવી છે.

 

સ્પોટબોયના અહેવાલ અનુસાર, જો થિયેટર ફરી લાંબા સમય સુધી બંધ રહ્યાં તો નિર્દેશક રોહિત શેટ્ટી સૂર્યવંશીને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરી શકે છે. વેબસાઇટ સાથે વાતચીતમાં એક સૂત્રએ જણાવ્યું કે, જો કોરોનાનો પ્રકોપ ઓછો નહીં થાય અને થિયેટર્સ નહીં ખુલે તો આ સ્થિતિમાં અમે બીજા વિકલ્પ અંગે પણ વિચાર કરી રહ્યાં છે. કેટલાક રાજયો અથવા દેશોમાં આ થિયેટરમાં રીલિઝ કરવામાં આવે અને કેટલીક જગ્યાએ ડિઝિટલ, એવું બની શકે છે. અમે બેસ્ટ વિકલ્પની શોધમાં છીએ.

ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટીની આ મલ્ટી સ્ટારર ફિલ્મ ગયા વર્ષે ૨૦૨૦માં જૂનમાં રીલિઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને લીધે થિયેટર્સ બંધ થતાં ફિલ્મ રીલિઝ થઇ શકી નહીં. ત્યાર બાદથી અત્યાર સુધી ફિલ્મની રીલિઝ ટળી રહી છે. જો કે, હવે ફરી દેશના ઘણા રાજયોમાં કોરોનાની સ્થિતિ વણસી છે. સૂર્યવંશી ઉપરાંત એપ્રિલમાં રીલિઝ થવા જઇ રહેલી કંગનાની ફિલ્મ થલાઇવી અને અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ચેહરે પણ મુલતવી થઇ છે.

(10:10 am IST)