Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' સિરીયલમાં ઐય્‍યર અને બબીતા ગામડે રહેવા જતા રહેશેઃ જેઠાલાલ મનામણા કરશેઃ નવો એપિસોડ આવશે

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આટલા વર્ષો પછી પણ પોતાની લોકપ્રિયતા ટકાવી શક્યો છે. ટોપ 5 શોમાં તે સામેલ હોય છે. હાલમાં જ આ સિરિયલે 28 જુલાઈના રોજ 12 વર્ષ પૂરા કર્યા અને 3000 એપિસોડ પણ પૂરા કર્યા. આ એક માત્ર એવો શો છે જેના તમને ભાગ્યે જ કોઈ વખોડનારા મળશે. પહેલા એપિસોડથી જ લોકોએ આ શોને વખાણ્યો છે અને ભરપૂર પ્રેમ આપ્યો છે. જેઠા તરીકે દિલિપ જોશી અને દયા તરીકે દિશા વાકાણીએ શોમાં પ્રાણ ફૂંકી દીધા હતા. દિલિપ જોશી હજુ શો સાથે જોડાયેલા છે પરંતુ દિશા વાકાણીએ શો છોડી દીધો છે. છતાં આ શોની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. આ જોડી ઉપરાંત બબિતા-ઐય્યરની જોડી પણ એટલી જ લોકપ્રિય છે.

સિરિયલમાં મુનમુન દત્તા અને તનુજ મહાશબ્દે બબીતા અને ઐય્યરનું પાત્ર ભજવે છે. જેઠાલાલનો બબીતાજી પ્રત્યેનું ગાઢ આકર્ષણ પણ સિરિયલનો પ્લસ પોઈન્ટ ગણાય છે. સ્ટોરીમાં હવે વળાંક આવે તેવી શક્યતા છે. બબીતાજીના પતિ ક્રિશ્નન ઐય્યર જાહેર કરે છે કે તેમણે અને બબીતાએ નક્કી કર્યું છે કે તેઓ તેમના ગામ પાછા ફરશે.

આ સાંભળીને જેઠાલાલ ચિંતામાં આવી જાય છે અને તેમને રોકવા માટે ધમપછાડા કરે છે. ઐય્યરને ખુબ સમજાવે છે અને ગામમાં રહેવાના ગેરફાયદા પણ ગણાવે છે. તે પૂછે છે કે ગામમાં તેઓ કામ કરી શકશે તો ઐય્યર કહે છે કે તેઓ ખેતી કરશે. જેઠાલાલ કહે છે કે આ બધુ સરળ નથી. તે એમ પણ કહે છે કે બબીતાજી ગામડાની રહેણીકરણીમાં સેટ થઈ શકશે નહીં. બબીતાજી પણ ઐય્યરના નિર્ણય સાથે સહમત છે તે જાણીને જેઠાલાલને ખુબ નવાઈ લાગે છે.

સિરિયલમાં હવે એ રસપ્રદ રહેશે કે બબીતા અને ઐય્યર ગોકુલધામ છોડીને જઈ રહ્યા છે તો શું જેઠાલાલ તેમને જતા રોકી શકશે? હાલ આ શોની વાત કરીએ તો એવી વાતો ચાલી રહી છે કે દિશા વાકાણી ઉર્ફે દયા કદાચ નવરાત્રિમાં કમબેક કરે.

(4:58 pm IST)