Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુરતમાં જેલ તંત્રની સામે કેદી દ્વારા ગંભીર આક્ષેપ લગાવાયા

જેલમાં સેટિંગો થતાં હોવાનો ગંભીર આક્ષેપ : લાજપોર જેલમાં ગેરરીતિ ચાલી રહી છે. જ્યારે જેલ તંત્ર આ મુદ્દે આરોપી ખોટું બોલી રહ્યો હોવાનું જણાવ્યું છે

સુરત, તા. ૨૮ : રાજ્યની સૌવથી હાઇ ટેક લાજપોર જેલમાંથી પૅરોલ પર છૂટીને આવેલા હત્યાના આરોપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, લાજપોર જેલમાં ગેરીતિ ચાલી રહી છે. જ્યારે જેલ પ્રશાશને આ મામલે આરોપી ખોટું બોલી રહ્યો હોવાનું જણાવ્યું છે. સુરત શહેરમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની ગત વર્ષે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા ૭ જણા સાથે આવ્યો હતો. સૂર્યા મરાઠી પર ૫૦ થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા. જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા.

ગુડગુડિયા વાળ વાળો દેખાઈ રહ્યો છે એ છે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ અને સૂર્યા મરાઠેની હત્યાના આરોપસર હાલ લાજપોર જેલમાં બંધ છે. જોકે પેરોલ પર છૂટીને આવેલા આરોપી રાહુલે લાજપોર જેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે જેલમાં કેટલીક ગેરરીતિ ચાલી રહી છે. ઉપરાંત જેલમાં આવેલા હાઈ સિક્યુરિટી સેલમાંથી બહાર કાઢવા માટે જેલના અંદર ૫૦ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવે છે. સમગ્ર મામલે તપાસ કરતા જેલ તંત્રે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જેલની અંદર પણ આ આરોપી અને એની ટોળકી સીધા ના રહેતા હતા. જેલની અંદર પણ રાહુલ એપાર્ટમેન્ટ ઝનૂની સભાવ રાખતો હતો અને માથાભારેની છબી જેલની અંદર યથાવત રાખી હતી. જેલની અંદર પણ ત્રણ ખટલા કરવામાં આવ્યા છે. ઉપરાંત જેલ તંત્રે રાહુલ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે. ચાર દિવસની પેરોલ પર લાજપોર જેલથી છૂટીને આવેલો આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ના ગંભીર આક્ષેપ સામે જેલ તંત્રે આ આરોપ ખોટા હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. ગુનેગારને જેલમાં મોકલવામાં આવે છે કે, જેલમાંથી સુધરીને આવે,પરંતુ કેટલાક આરોપી જેલની અંદર પણ સુધરતા ના હોવાથી તેમની સામે અંદર પણ પગલાં ભરવામાં આવતા હોઇ છે.

(9:59 pm IST)