Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ચૌદમી વિધાનસભાના આઠમા સત્રના પ્રારંભ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં દિવંગત સભ્યશ્રીઓને ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીશ્રીની ભાવાંજલિ

પૂર્વ મુખ્યમંત્રીઓસ્વ. માધવસિંહ સોલંકી અને સ્વ. કેશુભાઇ પટેલે ગુજરાતના વિકાસને નવી દિશા આપી છે : મુખ્યમંત્રી

કૃશળ પ્રશાસક-દીર્ધદ્ર્ષ્ટા અને ગ્રામિણ વિકાસ-કૃષિ-શિક્ષણ-સાહિત્ય સંસ્કૃતિ તેમજ સામાજિક ઉત્થાનના સર્વાંગી વિકાસ કાર્યો માટે સ્વ. માધવસિંહજી અને ગોકુળગ્રામ યોજના- નર્મદા યોજના જેવી બહૂહેતુક યોજના માટે સ્વ.કેશુભાઇ પટેલ સદાય સ્મરણીય રહેશે : સ્વ.કેશુભાઇ પટેલે લોકનેતા તરીકે પોતાનું સમગ્ર જીવન ખેડૂત, ગ્રામવિકાસ, સામાજિક ઉત્કર્ષ અને રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ખપાવી દીધું હતુ

    ફોટો purva

અમદાવાદ : મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ સહિતના ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને સાત પૂર્વ દિવંગત વિધાયકોને ભાવસભર અંજલિ આપી હતી.

મુખ્યમંત્રીએ પૂર્વ રાજ્યમંત્રીઓ દિવંગત સર્વ સુંદરસિંહ ચૌહાણ, બાબરભાઇ તડવી, રજનીકાંત રજવાડી અને શ્રી રોહિતભાઇ પટેલના દુ:ખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી સદગત સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
તેમણે વિધાન સભાના પૂર્વ દિવંગત વિધાયકઓ સ્વ. દિનકરભાઇ દેસાઇ, શ્રીમતી ચંદ્રાબહેન શ્રીમાળી, ધારશીભાઇ ખાનપુરા, જોધાજી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટના નિધન અંગે પણ દુ:ખ વ્યક્ત કરી આ સભ્યોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.
ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમ્યાન ઉદ્યોગ, વીજળી, શિક્ષણ, સામાજિક કલ્યાણ તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન દ્વારા વિકાસને નવી દિશા આપી હોવાનું સ્મરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરનારા સ્વ.માધવસિંહ સોલંકીએ કુશળ પ્રશાસક, દીર્ધદૃષ્ટા અને ગ્રામજગતના ઉત્થાન માટે વિચક્ષણ રાજપુરુષ તરીકે આપેલું યોગદાન સદાકાળ સ્મરણીય રહેશે
મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલને  લોકનેતા તરીકેની ભાવસભર અંજિલ આપતા કહ્યું કે, ગોકુળગ્રામ યોજનાથી સર્વાંગી ગ્રામીણ વિકાસના પ્રણેતા સ્વ.કેશુભાઇ પટેલે કિસાન પુત્ર તરીકે ખેડૂતોના હિતો પ્રત્યે પણ સદાય સંવદેના દર્શાવી હતી.
વિજયભાઇ રૂપાણીએ પૂર્વમુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલે મચ્છુ હોનારત વેળાએ તેમજ ૨૦૦૧માં કચ્છના ભૂકંપ વખતે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પણ સાદર સ્મરણ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે દીર્ધકાલિન સેવાઓ આપનારા સ્વ.કેશુભાઇ પટેલે પોતાનું સમગ્ર જીવન ખેડૂત, ગામડા, સામાજિક ઉત્કર્ષ અને રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ખપાવી દીધું હતું.
મુખ્યમંત્રીએ દિવંગત સ્વ.કેશુભાઇ પટેલના અવસાનથી રાજ્યના રાજકીય-સામાજિક જીવનમાં ન પૂરાય તેવી ખોટ પડી છે અને આપણે મૂઠી ઉંચેરા સંવેદનશીલ નેતા ગુમાવ્યા છે તેમ પણ ભાવસભર શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું
ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત સભ્યોને સભાગૃહ વત્તી શ્રદ્ધાસુમન પાઠવતાં જનપ્રતિનિધી તરીકેની તેમની સેવાઓ અને લોકપ્રશ્રોને ગૃહમાં વાચા આપવાના દાયિત્વની સરાહના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ પણ આ દિવંગત સભ્યોને આદરાંજલિ પાઠવતા શોક પ્રસ્તાવમાં ભાગ લીધો હતો.
સમગ્ર સભાગૃહે બે મિનીટનું મૌન પાળીને સૌ પૂર્વ દિવંગત સભ્યોને અંજલિ આપી હતી અને શોકસંતપ્ત પરિવારો પ્રત્યે દિલસોજીની લાગણી વ્યક્ત કરી હતી.

(7:58 pm IST)