Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આજના જ દિવસે 50 વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડની ધરા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રથમ પદાર્પણ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : ભારત વર્ષની વિશ્વની મોટી દેણગી છે વિરક્ત સંત પરંપરા... આ સંત પરંપરા જનસમાજ પાસેથી લે છે તે કરતાં અનેક ગણું આપે છે. માનવ જીવનના ઘડવૈયા છે સંતો. ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃસ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરનાર સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મૂઠી ઊંચેરા મહાન સંત હતા. તેઓશ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટેના યુગ દ્રષ્ટા હતા. એટલે તો સૌ કોઈને વિશ્વધર્મચૂડામણિ સ્વામીબાપાની દિવ્ય અલૌકિક મૂર્તિનું અપાર આકર્ષણ હતું. સ્વામીબાપાનાં દર્શનમાં અનેક સદ્ગુણોના દર્શન થાય છે. ધર્માનુસરણને વરેલા ભારતીયો માત્ર શાળામાં ન રહેતા સંસ્કૃતિથી વિદેશોમાં અર્થોપાર્જન માટે સ્થાયી થયા છે.
ચીલે ચીલે ગાડી ચલે ચલે ચલે કપૂત;
 પણ એ ચીલે ના ચલે,  ઘોડા, સિંહ સપૂત...
એ ન્યાયે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સાચા વારસદાર ધર્મમાર્તંડ સ્વામીબાપાએ, સમુદ્ર ઓળંગીને વિદેશયાત્રા ન કરાય એ સાંપ્રદાયિક પુરાણી રૂઢીને હિંમતપૂર્વક પડકારીને ૭૨ વર્ષ પહેલાં આફ્રિકા જેવા અનાર્ય ખંડને અને પાવનકારી પાદાર્પણે પુનિત બનાવ્યો.
તેમજ યુનાઈટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ પધારનાર સંત તરીકે ૧૯૭૦ માં પધાર્યા.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી મુક્તજીવન સ્વામીબાપા  યુગ દ્રષ્ટા હતા. કેળવણીના ક્રાન્તદ્રષ્ટા તેમજ સમર્થ ધર્માધ્યક્ષ તરીકે જેનો જોટો જગતમાં જડે તેમ નથી એવા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું આ ભગીરથ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે પથદર્શક - પ્રેરણાદાયક કદમ હતું. વળી, આ સમય અનેક કંટકોથી ભર્યો હતો. પણ,
તટ હાટ હીરા નહીં, કાંચન કા ન પહાર;  સિંહન કા ટોળાં નહીં,  સંત વિરલ સંસાર...
અર્થાત જે વસ્તુ ઉત્તમ હોય છે તે જ આ જગતમાં વિરલ જોવા મળે છે. યુગદ્રષ્ટા - ક્રાન્તદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના આશીર્વાદ અને પાવન પ્રેરણા પામી આફ્રિકાથી ઈંગ્લેન્ડ અભ્યાસ અને અર્થોપાર્જન અર્થે હરિભક્તોએ પ્રસ્થાન કર્યું. પ્રારંભમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. પરંતુ શ્રીજીબાપા સ્વામીબાપાના સહજાનંદી સિંહ સમાન સંતાનો હતા. તેઓ મુશ્કેલીઓને કહેતા કે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની કૃપાથી અમે નિર્ભય છીએ. ગુરુદેવની અસીમ કૃપાથી સમૃદ્ધિને આરે પહોંચેલા હરિભક્તોએ સ્વામીબાપાને લંડન - ઇંગ્લેન્ડ પધારવા વારંવાર પ્રાર્થના કરી. ધર્મ માર્તંડ સ્વામીબાપા ૧૯૭૦માં વિશાળ સંતો-ભક્તો સહિત આજના જ દિવસે  તા. ૧-૧૦-૧૯૭૦ ને ગુરુવાર ના પાવનકારી દિવસે પધાર્યા હતા. (યોગાનુયોગ આજે પણ તારીખ, મહિનો અને વાર એ જ છે.) ત્યારબાદ ઈંગ્લેન્ડથી અમેરિકા પણ પધાર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ સત્સંગના પ્રચાર અને પ્રસાર માટે પહેલ કરનાર ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તે પછી સન ૧૯૭૪ અને ૧૯૭૯માં એમ ત્રણ વખત અનેક સ્થળોએ વિચરણ કર્યું હતું. આજે તેને 50 વર્ષ પૂર્ણ થાય છે.

(8:20 pm IST)