Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અમદાવાદ કોર્પોરેશને 3 વર્ષ પહેલા 3 કરોડના ખર્ચે એલ.જી. હોસ્‍પિટલમાં તૈયાર કરેલ પોસ્‍ટમોર્ટમ રૂમ સ્‍ટાફ અને મેડિકલ સાધનોના અભાવે ધુળ ખાય છે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અણઘડ આયોજનનું વધુ એક માહિતી સપાટી ઉપર આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ત્રણ વર્ષ પહેલાં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરાયો હતો પણ સ્ટાફ અને મેડિકલ સાધનોના અભાવે આજ દિન સુધી આ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત થઇ શક્યો નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ પોસ્ટમોર્ટમ રૂમ ઉપયોગી થવાને બદલે ધૂળ ખાઈ રહ્યું છે. આ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઘોર બેદરકારી નું પ્રતિક છે.

અમદાવાદ શહેરમાં અસારવા સિવિલ હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય અમદાવાદની કોઈપણ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સુવિધા ઉપલબ્ધ નથી.

આથી, ખાસ કરીને પૂર્વના વટવા, મણિનગર, નારોલ, લાંભા અને શાહવાડી જેવા વિસ્તારોમાં ત્યારે કોઈપણ દુર્ઘટના ઘટે ત્યારે મૃતદેહોને વીએસ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડે છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમમાં લાંબો વિલંબ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં એકથી બે દિવસની રાહ જોવી પડે છે.

આ સમસ્યાને હલ કરવા માટે પૂર્વના વિસ્તારો ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં દુર્ઘટના વખતે મૃતદેહોનું તાત્કાલિક પોસ્ટમોર્ટમ થઈ શકે તે માટે એલ.જી.હોસ્પિટલમાં ખાસ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરાયો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2017માં ત્રણ કરોડના ખર્ચે એલ.જી. હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ગત વર્ષ 2017માં કાર્યરત કરવાનો હતો પણ અધિકારીઓએ આ આગળની કાર્યવાહી કરી નહોતી.

આ પોસ્ટમોર્ટમ રૂમ માટે ડોક્ટર સહિતના સ્ટાફની ભરતી થઈ નહોતી અને પોસ્ટમોર્ટમ માટે જરૂરી ઈકવિપમેન્ટ વસાવવામાં આવ્યા નહોતા. આના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ પોસ્ટમાં ધૂળ ખાઇ રહ્યો છે.

સ્થાનિક આગેવાનોની એવું કહેવું છે આ પોસ્ટ મોર્ટમ રૂમ ઝડપથી શરૂ થાય તો અકસ્માત જેવી ઘટનાઓમાં કે પછી અન્ય દુર્ઘટનાઓમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો ઝડપથી પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને મળી શકે તેમ છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમના નામે સ્વજનોએ ડેડબોડી મેળવવામાં લાંબો ઇન્તજાર ખતમ થાય તેમ છે.

(4:33 pm IST)