Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જેલમાં સજા ભોગવતા કેદીઓને કાનૂની સલાહ આપવા સરકાર કટિબધ્ધઃગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

કોરોનાના કપરા કાળમાં પણ કેદીઓને સંક્રમણથી બચાવવા ખાસ વ્યવસ્થા પ્રોટોકોલ મુજબ બેરેકમાં સુવિધા :14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા કેદીઓની મુક્તિ માટે અધિક મુખ્ય સચિવ(ગૃહ)ના અધ્યક્ષપદે ઉચ્ચ કમીટીની રચનાઃ સંવેદનશીલતાથી નિર્ણય લેવાશે:રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૪૩ હજારથી વધુ કેદીઓને કાનૂની સલાહઃ૧૦ હજારથી વધુ કેદીઓને કાનૂની સહાય અપાઇ

અમદાવાદ :ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયની જેલોમાં સજા ભોગવતા કેદીઓને કાયદાકીય કાનૂની સલાહ વિનામૂલ્યે પૂરી પાડવાની શરૂઆત રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧ થી શરૂ કરી છે. જેમાં કેદીઓને રક્ષણ માટેના હક્કો મળી રહે એ માટે માર્ગદર્શન સહિત વકીલની સુવિધાઓ પણ વિના મૂલ્યે  પુરી પાડવામાં આવે છે.

  આજે વિધાનસભા ખાતે અમદાવાદ મધ્યસ્થ જેલ અને લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કાનૂની સલાહ-સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજયમંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, સજા ભોગવતા કેદીઓને તેઓને ન્યાય મળે તે માટે તેઓનો કેસ કઇ રીતે લડવો, અરજી કેમ કરવી તથા વકીલો નિમવા માટે પૈસા ન  હોય તો પણ રાજય સરકાર દ્વારા વિના મૂલ્યે વકીલની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ માટે ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી મારફત કેસ લડવા માટે મદદ કરવામાં આવે છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષમાં ૭,૬૬૬ કેદીઓને કાનૂની સલાહ અને ૬,૧૭૧ કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.   

 જાડેજાએ વધુમાં જણાવ્યું કે, કેદીઓની કલ્યાણકારી પ્રવૃતિના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના ૫,૧૭૮ પુરૂષ અને ૧,૧૩૩ મહિલા મળીને કુલ ૬,૩૧૧ કેદીઓને તથા પાકા કામના ૫૦૫ પુરૂષ અને ૮૫૦ મહિલા મળીને કુલ ૧,૩૫૫ કેદીઓ મળી આમ, એકંદરે કુલ ૭,૬૬૬ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે.

  જાડેજાએ વધુમાં જણાવ્યું કે, રાજયની તમામ જેલોમાં કાચા કામના ૩૪,૮૨૩ પુરૂષ અને  ૪,૧૧૪ મહિલા કેદીઓ મળીને કુલ ૩૮,૯૩૭ કેદીઓને તથા પાકા કામના ૩,૭૪૬ પુરુષ અને ૧,૦૯૬ મહિલા કેદીઓ મળીને કુલ ૪,૮૦૨ કેદીઓ મળી આમ એકંદરે કુલ ૪૩,૭૭૯ કેદીઓને નિઃશુલ્ક કાયદાકીય સલાહ આપવામાં આવી છે.  

   જાડેજાએ ઉમેર્યું કે, જેલમાં સજા ભોગવતા કાચા કામના અને પાકા કામના કેદીઓને કાયદાકીય સહાય પણ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના ૪,૮૩૩ પુરૂષ, ૫૬૮ મહિલા કેદી મળી કુલ ૫,૪૦૧ તથા પાકા કામના ૨૭૨ પુરૂષ અને ૪૯૮ મહિલા ઉમેદવારો મળીને કુલ ૭૦૦ કેદીઓ મળી આમ એકંદરે કુલ ૬,૧૭૧ કેદીઓને કાયદાકીય સહાય આપવામાં આવી છે. 

 જાડેજાએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યની જેલોમાં કાચા કામના ૮,૦૬૫ પુરૂષ અને ૮૩૭ મહિલા કેદીઓને મળી કુલ ૮,૯૦૨ કેદીઓને તથા પાકા કામના ૭૩૫ પુરૂષ અને ૫૧૬ મહિલા કેદીઓ મળી કુલ ૧,૨૫૬ કેદીઓ મળી આમ એકંદરે કુલ ૧૦,૧૫૮ કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.

  મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, કોરોનાના કપરા કાળમાં કેદીઓને સંક્રમણથી બચાવવા માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને યોગ્ય પગલા લેવાયા જેના પરિણામે આપણે જેલોમાં સંક્રમણ અટકાવી શક્યા છીએ. જેલ સંકુલમાં સેનીટાઇઝેશન, ફોગીંગ, યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે યોગ્ય પગલા તથા વિનામૂલ્યે માસ્કની સુવિધાઓ પુરી પડાઇ છે. એટલું જ નહી ૬૦ વર્ષથી વધુ ઉમરના કેદીઓને અલગ બેરેકમાં રાખીને તેમનું નિયમીત હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે. તથા જયારે નવા કેદીઓ જેલમાં આવે ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરીને એમને ૧૪ દિવસ કોરોન્ટાઇન રાખવાની અલાયદી સુવિધા જેલમાં ઉપલબ્ધ બનાવાઇ છે. જેના પરીણામે જેલમાં પણ સંક્રમણ અટકાવી શક્યા છીએ. 

 મંત્રી જાડેજાએ જણાવ્યુ કે, ૧૪ વર્ષથી વધુ સમયની લાંબી સજા ભોગવતા કેદીઓની મુક્તિ માટેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યુ કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ માટે સંવેદના દાખવી કેદીઓને ‘વહેલી જેલ મુક્તિ’ અંગે ઉમર વધારે હોવાના કારણે, અન્ય ગંભીર રોગોના કારણે પરેશાની હોય, સજા પૂર્ણ થઇ ગઇ હોય છતાં પણ એક યા અન્ય કારણોસર લાંબા સમયથી સજા ભોગવતા હોય તે નિવારવા માટે અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ)ના અધ્યક્ષપદે એક કમીટીની રચના કરી છે. જેમાં હકારાત્મક અભિગમ અપનાવી સત્વરે સંવેદનશીલતાથી નિર્ણય લેવામાં આવનાર છે,  તેમ તેમણે ઉમેર્યુ છે.   લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કાનૂની સલાહ અને સહાયના અન્ય પ્રશ્નના પ્રત્યુતરમાં   

  મંત્રીએ કહ્યું કે, લાજપોર મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષમાં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીઓ પૈકી પુરૂષ-૧૩,૫૩૯ અને મહિલા-૧,૨૯૩ મળી કુલ-૧૪,૮૩૨ તથા પાકા કામના કેદીઓ પૈકી પુરૂષ-૧,૦૨૮ અને મહિલા-૨૯ મળી કુલ-૧,૦૫૭ કેદીઓ આમ એકંદરે કુલ -૧૫,૮૮૯ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવેલ છે. તેમજ, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીઓ પૈકી પુરૂષ - ૧,૨૦૫ અને  મહિલા - ૧૫૫ કેદીઓ મળી કુલ ૧,૩૬૦ કેદીઓને તથા પાકા કામના કેદીઓ પૈકી પુરૂષ -૪૨ અને મહિલા -૦૨ કેદીઓ મળી કુલ ૪૪ કેદીઓ મળી આમ એકંદરે કુલ ૧,૪૦૪ કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.

(7:28 pm IST)