Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ઝેરી કમળો, કિડનીની બિમારી, 11 વાર ડાયલીસીસ કરી 27 દિવસની સારવાર બાદ રમાબેને કોરોનાને મ્હાત આપી

હાલ સુરતના અમરોલીમાં રહેતા મૂળ જૂનાગઢના વંથલીના સાંતલપુરના રમાબેને સઘન સારવારથી કોરોનાએ હરાવ્યો

 

સુરત : કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોમોર્બિડીટી (અન્ય કોઈ પ્રકારની બિમારી) ધરાવતાં દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડતી હોય છે. કિડનીની બિમારીવાળા દર્દીઓ જેમાં ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતાં દર્દીઓને નિયમિતપણે ડાયાલિસીસ કરવામાં આવે તો જોખમ ઉભું થાય છે પણ નવી સિવિલ હોસ્પિટલમાં કિડની ફેલ્યોર અને ઝેરી કમળાની બિમારીથી પીડાતા 53 વર્ષીય કોરોનાગ્રસ્ત રમાબેનને 27 દિવસની સારવારમાં 11 વખત ડાયાલિસિસ કરાયું હતું. સઘન સારવારના કારણે કોરોનામુક્ત બની સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે

 . મૂળ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામના વતની રમાબેન દુધાત્રા હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે. તેમની બંને કિડની ફેઈલ હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ડાયાલિસિસ ચાલે છે. એવામાં કોરોનાના લક્ષણ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં કોસાડ આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા.હતા

કોવિડ વોર્ડમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું. તબીબોની મહેનતથી તેમને નવું જીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ પરના ડૉ.અજય પરમારે જણાવ્યું કે કિડની ફેલ થવાની સ્થિતિમાં ડાયાલિસિસ અથવા કિડની ટ્રાંસપ્લાન્ટ એક માત્ર સહારો છે. સપ્તાહમાં ત્રણ વખત કિરણ હોસ્પિટલ ખાતે તેઓ ડાયાલિસિસ કરાવે છે. એવામાં રમાબેનને કોરોનાનું ઈન્ફેકશન થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા, ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 60થી 70 ટકા જેટલું હતું. જેથી તેમને 15 લીટર NRBM- નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર 4 દિવસ રાખવામાં આવ્યા. ડાયાલિસિસની સાથે કોરોનાની સારવાર કરતા તંદુરસ્તીમાં સુધારો આવ્યો. 19 દિવસ સાદા ઓક્સિજન પર રહ્યા બાદ 4 દિવસ નોર્મલ રૂમ એર મોનિટરીંગ હેઠળ રાખવામાં આવ્યા. સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.હતા 

 

(12:17 am IST)