Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

મોદી હીરાબાના આર્શિવાદ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે

મોદીના ગુજરાત આગમન પહેલાંની તૈયારીઓ શરૂ : ૩૦મીએ રાજભવનમાં રાત્રી રોકાણ કરીને ૩૧મી સવારે રિવરફ્રન્ટથી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળશે

ગાંધીનગર,તા.૧૦ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસને લઇને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે ગઈકાલે બેઠક બોલાવી હતી. સીઆરપીએફ, એસઆરપી અને બીએસએફના જવાનો દ્વારા ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે. ત્યારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે બેઠકમાં એકતા પરેડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ચર્ચા  કરી હતી. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે રાત્રે ગુજરાત આવશે. તેઓ ૩૦મી ઓક્ટોબરે રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને ૩૧ ઓક્ટોબરે સવારે અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૩૦મી તારીખે રાત્રે જે ૩૧મી તારીખે વહેલી સવારે પોતાની માતા હીરા બાના પણ આશીર્વાદ લેવા જઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતની મુલાકાત દરમિયાન અન્ય બે થી ત્રણ પ્રોજેક્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ થાય તેવી પણ સંભાવના છે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે. આજે ગૃહ વિભાગ દ્વારા સીઆરપીએફ અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડાપ્રધાનના પ્રવાસ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સી પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયા પહોંચશે. ત્યારે તેઓ આ સી પ્લેનનું પણ ઉદઘાટન કરવાના છે. જેના બાદ આ સી પ્લેન સેવા સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકાશે.

 

(7:21 pm IST)