Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભરતી ન થતાં રાજયમાં લાખો ઉમેદવાર લાયકાત ગુમાવી છે

અટકી પડેલી સરકારી ભરતીઓ મામલે વિવાદ : સમિતિના અગ્રણીના કહ્યા મુજબ ઘણા ઉમેદવારો એવા છે જેમને પરીક્ષા પાસ કરી છે પરંતુ હજી નોકરી મળી નથી

અમદાવાદ,તા.૧૧ : ગુજરાતમાં લાંબા સમયથી અટકી પડેલી સરકારી ભરતીઓ મામલે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. આંદોલનકારીઓએ લાંબા સમયથી ગાંધીનગરમાં આંદોલનને વેગ આપ્યો હતો. પરંતુ રાજ્યમાં લાંબા સમયથી ભરતીઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ નહીં લેવાતા અને જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે પરંતુ પરિણામો જાહેર કરવામાં વિલંબ કરતા તેમજ નિમણૂંક નહીં મળતા અને તાજેતરમાં કેટલીક ભરતીઓ સ્થગિત કરતા ગુજરાતમાં લાખો ઉમેદવાર પોતાની લાયકાત ગુમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ભરતી પ્રક્રિયા અંગે વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સમિતિના અગ્રણી દિનેશ બાંભણિયાના જણાવ્યાનુસાર લોકરક્ષક દળ, એસઆરપી, અને ટાટ- જેવી પરીક્ષાઓ અંગે પ્રક્રિયા પૂર્ણ કરીને ઉમેદવારોને રોજગારી આપવી જોઈએ.

        પરંતુ તે નહીં મળતા ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પોલીસ અને સરકારી તંત્ર દ્વારા હેરાનગતિ કરાઈ રહી છે. માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે, ઘણા ઉમેદવારો એવા છે જેમને પરીક્ષાઓ પાસ કરી છે પરંતુ હજી નોકરી મેળવી નથી. તેમની સમય મર્યાદા ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહી છે અને ઉમેદવારોની સંખ્યા ૭૦૦૦૦ છે. આવા કુલ ,૭૦૦૦૦ હજાર ઉમેદવારો છે જેઓ નિમણૂંક લાયક હોવા છતાંય અપાતા હોવાનો દાવો પણ કર્યો હતો. તે સિવાય લાખો ઉમેદવારોની સરકારી ભરતીઓ માટેની પરીક્ષા આપવાની વય મર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે.

         જેમાં રુપાણીનો દાવો કર્યો હતો કે, આગામી પાંચ મહિનામાં રાજ્યમાં વીસ હજારથી પણ વધુ લોકોને સરકારી નોકરી અપાશે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮૦૦૦ જગ્યાઓ માટે નિમણૂંક પત્ર આપવાના સ્પષ્ટ આદેશ કરાયા હોવાનું સુત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે. જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરિય બેઠકમાં અંગેના આદેશ અપાયા હતા.

(7:49 pm IST)