Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મારી સરકાર આવશે તો તુરત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે :શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી દૂર કરવાનો મુદ્દો ઉઠાવ્યો

અમદાવાદ,તા.૧૨ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજયમાંથી દારૂબંધી દૂર કરવાની વાત કરી છે. રાજયના સીનિયર નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે. આ સાથે જ તેમણે રાજયમાં વેચાતા ઝેરી દારૂ મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો હતો. અને પોતાની સરકાર આવવા પર રાજયમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી.

શંકરસિંહ વાદ્યેલા પોતાની પોસ્ટમાં લખે છે કે, 'ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે! નામ માત્રની દારૂબંધી સરકાર માટે ભ્રષ્ટાચારનો મોટો હથિયાર બની ગયો છે અને બ્લેકમાં વેચાતા જીવલેણ ડુપ્લીકેટ દારૂને કારણે અત્યાર સુધીમાં ૩૫ વર્ષથી નીચેના લાખો બહેનો વિધવા થયા છે અને જે રૂપિયા સરકારની તિજોરીમાં આવવા જોઈએ તે બ્લેક મની સ્વરૂપે અસામાજિક તત્વો, બૂટલેગરો અને સરકારના પાર્ટી ફંડમાં જાય છે! આ સાથે તેઓ વધુમાં લખે છે, જો મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે.

આ પહેલા શંકરસિંહે ગઈકાલે નવસારીની મુલાકાત દરમિયાન પણ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દર એક કિલોમીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહું થયું હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, દમણ, સેલવાસ અને દીવ ન જઈને પોતાના ઘરે શાંતિથી બેસીને દારૂ પીવાય તેવું વાતાવરણ બને તે જરૂરી છે. આમ તેમણે ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી લેવાની માગણી કરી હતી.

શંકરસિંહે સાથે જણાવ્યું કે, જો આ સરકાર તેમ ન કરી શકે તો અમારી સરકાર આવ્યા બાદ અમે ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી લઈશું. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. જોકે હોસ્પિટલમાં થોડા દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી.

(3:34 pm IST)