Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની 87મી જન્મજયંતી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવાઈ

અમદાવાદ :મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ધર્મવડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો આજે 87મો જન્મજયંતી દિન અવસરે ગુરુવંદના કરવા માટે થનગનતા દેશ-વિદેશના લાખો ભક્તો માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આજે જન્મજયંતી ઉત્સવ ઉજવાયો હતો .

પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મ મધ્યપ્રદેશમાં જબલપુર ખાતે સન 1933માં 13મી સપ્ટેમ્બરે થયો હતો.અહીં વિદ્યાર્થીકાળ અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ શાળામાં વિતાવીને આણંદ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે સન 1952માં કોલેજમાં જોડાયા હતા. સન 1956માં એગ્રિકલ્ચરલ સાયન્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓ મહાન સંત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં ચરણે તેઓ સમર્પિત થઈ ગયા હતા. સન 1961માં તેઓના હસ્તે દીક્ષા લઈને સ્વામી કેશવજીવનદાસજી બન્યા હતા.

 બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની છત્રછાયામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અનેક આધ્યાત્મિક-સામાજિક આયોજનોમાં મહત્ત્વનું યોગદાન આપનાર તેઓ મુંબઈના બી.એ.પી.એસ. મંદિરના મહંતશ્રી હોવાથી મહંત સ્વામીના નામથી વિખ્યાત થયા છે. તેઓનું ચિંતનસભર વ્યક્તિત્વ અને તેમની શાંત આધ્યાત્મિક પ્રતિભામાં તેમની અનોખી સાધુતા મહેકે છે. તેજસ્વી વ્યક્તિત્વ હોવા છતાં તેઓની સહજ વિનમ્રતા અને સાદગી સૌનાં હૃદયને સ્પર્શી જાય છે.

આજે તેઓની 87મી જન્મજયંતીના પર્વે તેઓના આ સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વની વિવિધ અનુભૂતિઓ વિવિધ રીતે પ્રસ્તુત કરાઈ હતી આજે સાંજે 5 થી 8 દરમ્યાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની વેબસાઈટ અને જીટીપીએલની કથા ચેનલ દ્વારા રજૂ થયેલ  આ વર્ચ્યુઅલ જન્મજયંતી ઉત્સવમાં પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી સહિત વિદ્વાન સંતોના વક્તવ્યો તેમજ અન્ય કાર્યક્રમોનો લાભ મળશે. જુદા જુદા સ્થાનોમાં રહેલા મહંત સ્વામી મહારાજ તેમજ સંતોને વર્ચ્યુઅલ ટેક્નોલોજી દ્વારા એક જ પ્લેટફોર્મ પર લાવીને કરવામાં આવેલ  જીવંત પ્રસારણને દેશવિદેશમાં લાખો ભક્તો માણ્યું હતું  અને આરતી તેમજ પુષ્પાંજલિ દ્વારા પોતાના આ પ્રાણપ્યારા ગુરુહરિને જન્મજયંતીએ વધાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાદરવા વદ નવમી તિથિએ પણ ભારતીય કેલેન્ડર મુજબ તેઓનો જન્મદિન હતો. સંતોએ ભાવવંદના કરીને તેઓને આ પ્રંસગે વધાવ્યા હતા.

(8:44 pm IST)