Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મુકાશે

દર કલાકે જુજ સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશેઃ કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ગત માર્ચના ત્રીજા અઠવાડિયાંથી કોરોનાની મહામારી ના કારણે પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું જે આગામી દશેરાના દિવસથી પ્રવાસી ઓ માટે ફરીથી ખુલ્લું મુકાશે તેમ જાણવા મળ્યું છે. તેની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના પ્રકલ્પો પણ ફરી શરૂ થશે.

 આમ પણ આગામી ૩૧ ઓકટોબર એ પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી માટે આવનાર છે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓ ને આવકારવા તડા માર તૈયારીઓ ચાલી રહી છે.

 જોકે કોવિડની તમામ ગાઈડ લાઇન સાથે દર કલાકે લિમિટેડ પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે અને કોવિડ ૧૯ની તમામ ગાઈડ લાઇનનું પાલન કરાવવામાં આવશે. કોવિડની મહામારીમાં લોકો ૭ મહિનાથી ઘરે જ હતા ત્યારે આ પ્રવાસન સ્થળ ખુલતા પ્રવાસીઓ કેટલી સંખ્યામાં આવશે એ જોવું રહ્યું. કેમ કે કોવિડની ગાઈડલાઈન મુજબ આખા દિવસમાં ૨૬૦૦ પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવશે જેમાં વ્યુઈંગ ગેલેરીમાં માત્ર ૫૦૦ લોકોને જ એન્ટ્રી અપાશે ત્યારે એ પૈકી કેટલા પ્રવાસીઓ અહીંયા આવશે એ બાબત સ્ટેચ્યુ ખુલ્લું મુકાયા બાદ જ ખબર પડશે.

(12:37 pm IST)