Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સરકાર અને દવા બનાવતી કંપનીઓ કોરોનાની બીજી લહેર અંગે થાપ ખાઇ ગયા અને કોરોના રસી કરતા પણ મહત્વના રેમડેસિવીર ઇન્જેકશનની તંગી સર્જાઇ

અમદાવાદઃ કોરોના મહામારીના ફાટેલા રાફડા વચ્ચે રસી કરતા પણ મહત્વના પુરવાર થઇ રહેલાં રેમડેસિવીર ઇંજેક્શનની દેશમાં કેમ અછત સર્જાઇ? આ સવાલ અત્યારે લોકો કરી રહ્યા છે. કલાકો સુધી એક ઇંજેક્શન લેવા માટે લાઇનમાં લોકો ઊભા તો થાય છે. પરંતુ તે મળશે કે નહીં તે પણ નક્કી નથી હોતુ.

મીડિયા અહેવાલ અને નિષ્ણાત ડોક્ટરે આ અંગેનું કારણ જણાવતા સરકાર અને દવા નિર્માતા કંપનીઓની કોવિડ-19 ફરી ઉથલો મારવા અંગેની ગેરસમજ ફલિત થાય છે.

કોરોનાના કેસો ઘટતા ઇંજેકશનનું નિર્માણ અટકાવાયુ હતુ

જાણવા મળ્યા મુજબ ગત વર્ષના પ્રારંભમાં કોરોના આથમી રહ્યાનું માની દવા કંપનીઓએ આ ઇંજેક્શનનું ઉત્પાદન નહીવત કરી દીધું હતું. જ્યારે હવે કોરોનાની બીજી લહેર ફાટી નીકળતા મોટાભાગના ડોક્ટરોએ સમજ્યા વિચાર્યા વિના જ રેમડેસિવીર લખી આપતા તેના માટે લોકોની પડાપડી થવા લાગી.

WHOએ રેમડેસિવીર અંગે શું કહ્યું

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના મહાસચિવ ડોક્ટર રવિ વાનખેડકરે જણાવ્યું, “વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે ગત એક વર્ષમાં અમે જોયું કે જો કોઈ કોરાનાથી સંક્રમિત દર્દીના પ્રારંભિક દિવસોમાં રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્થિતિ ગંભીર બનતા અટકાવી શકાય છે.

ડોક્ટર રવિએ કહ્યું કે ઘણા ડોક્ટર વગર વિચાર્યે સૌને રેમડેસિવિર લેવાની સલાહ આપી રહ્યા છે. હકીકતમાં આને માત્ર મધ્યમ કે ગંભીર સંક્રમણમાં જ આપવી જોઈએ. પણ કેટલાય ડોક્ટરો વિચાર્યા વગર જ આ દવા લખી રહ્યા છે. બીજી લહેરમાં સંક્રમણ નાનાં ગામોમાં પહોંચી ગયું છે. અહીં લોકો જે નોન-એમબીબીએસ ડક્ટરોનો સંપર્ક કરે છે. તેઓ પણ રેમડેસિવિરની સલાહ આપી રહ્યા છે.આજ કારણ છે કે માગ આટલી બધી વધી ગઈ.

આ કંપનીઓ રેમડેસિવીરનું ઉત્પાદન કરે છે

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ગત ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રેમડેસિવીર ઓછી કે લગભગ નહીવત માગ હતી એટલે આનું ઉત્પાદન અટાકવી દેવાયું હતું. એટલે ત્રણ મહિના સુધી ઉત્પાદન એકદમ ઘટી જતા રેમડેસિવીરની અત્યારે ભારત અછત સર્જાઇ છે. ભારતમાં સાત કંપનીઓ (માયલેન, હેટ્રો હેલ્થ કેર, જુબલિયન્ટ, સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ્ લેબ, સન ફાર્મા અને ઝાયડસ) રેમડેસિવિરનું ઉત્પાદન કરે છે.

હવે કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં લોકો મોટા પ્રમાણમાં રેમડેસિવિર ખરીદી રહ્યા છે અને સંગ્રહ પણ કરી રહ્યા છે.

રેમડેસિવીરની નિકાસ પર કેન્દ્રનો પ્રતિબંધ

ભારત સરકાર દ્વારા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ કરવા પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. હવેથી એક્સપોર્ટ માટેનો જથ્થો સ્થાનિક બજારમાં વેચવા મંજૂરી આપવામાં આવશે જેની મદદથી એક અંદાજ મુજબ લગભગ 1 લાખ વાઈલ્સ તાત્કાલિક મળી શકે છે. 1 વાઇલમાં રેમડેસિવરિના 6 ઇન્જેકશન આવે છે એવામાં 6 લાખ ઇન્જેકશન તાત્કાલિક લોકળ માર્કેટને મળી શકે છે.

20 અપ્રિલ બાદ અછત સંપૂર્ણ દૂર થવાની શક્યતા

નોંધનીય છે કે દેશમાં કુલ 19 જેટલા પ્લાન્ટમાં રેમડેસિવિર બને છે. સ્થાનિક અને નિકાસ કરતી કંપનીઓમાં 2 કરોડ વાઈલ્સ બનાવવાની ક્ષમતા છે એવામાં અંદાજ મુજબ 20 અપ્રિલ બાદ રેમડેસિવિરની અછત સંપૂર્ણ દૂર થવાની શક્યતા છે.

(4:52 pm IST)