Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કપડવંજ:બાલાસિનોર રોડ નજીક રમોસડી પાટિયા પાસે સર્જાયેલ રીક્ષા-વાન વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કપડવંજ: બાલાસિનોર રોડ પર રમોસડી પાટીયા પાસે આજે સવારે રીક્ષા ચાલકની બેદરકારીને કારણે સર્જાયેલ અકસ્માતમાં ૧૨ લોકોને ઇજાઓ પહોંચી છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે રીક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ લાલાભાઇ ગોવિદભાઇ દેસાઇ (રહે. કપડવંજ)નાઓ આજે સવારે ૧૦.૪૫ની આસપાસ પોતાની વાન નં.જીજે-૦૭, વીડબલ્યુ-૮૪૫૫ લઇ કપડવંજથી બાલાસિનોર તરફ જઇ રહ્યા હતા. તે દરમ્યાન કાપડી વાવથી કપડવંજ તરફ પુરપાટ ઝડપે આવી રહેલ લાલ કલરની લોડીંગ રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાલાભાઇની વાન સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં રીક્ષા અને વાનમાં બેઠેલ પેસેન્જરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નંબર પ્લેટ વગરની રીક્ષામાં રૂનો સામાન ભરી તેમાં પેસેન્જર પણ બેસાડવામાં આવ્યા હતા. જેના કારણે અકસ્માતમાં ૧૨ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં ૩ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાકી ૯ લોકોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં ૧૦૮ મારફતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

(5:10 pm IST)