Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

30 જાન્‍યુઆરીએ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન

ગાંધીનગર: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, 2021ને શનિવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી આવા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

તારીખ ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારે ૧૦:પ૯ થી ૧૧:૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય, ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે.

આ સાથે ૧૧:૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧:૦ર થી ૧૧:૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે, ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું.

જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી, ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મૂકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.

(4:47 pm IST)