Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

બે જનનાંગની સાથે જન્મેલા બાળકને પુત્રી તરીકે સ્વીકાર

પાલનપુરનો વિચિત્ર ચોંકાવનારો કિસ્સો : ૮ વર્ષની બાળકી, જિનેટિક રીતે તો છોકરો હતી કારણકે તેનામાં XY રંગસૂત્રો હતા, ડોક્ટર્સે તેના પેનિસને દૂર કર્યું

પાલનપુર : દોઢ વર્ષ પહેલા આઠ વર્ષની શમીમા (નામ બદલ્યું છે)ના પ્રાઈવેટ પાર્ટમાં પુરુષના અંગો વિકસિત થતાં જોઈને તેના પેરેન્ટ્સ ચોંકી ગયા હતા. તે છોકરો હતી કે છોકરી? તપાસ કરતાં ડૉક્ટરોને જાણવા મળ્યું કે, જિનેટિક રીતે તો તે છોકરો હતી કારણકે તેનામાં એક્સવાય રંગસૂત્રો હતા, પરંતુ તે બંને હોઈ શકે છે કારણકે તેના ભગ્નશિશ્નમાંથી વજાઈના અને પેનિસ બંને વિકસી રહ્યા હતા.

આખરે શમીમાના માતાપિતાએ નક્કી કરી લીધું કે, વહાલા બાળકને છોકરીની જેમ ઉછેર્યું છે અને તેમ જ રાખવા માગે છે. મતલબ કે, કપલે પોતાના બાળકનું લિંગ છોકરીનું હશે તે નિર્ણય કરી લીધો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ આ બાળકીની સર્જરી કરીને ભગ્નશિશ્નમાં વિકસિત થઈ રહેલા પેનિસને દૂર કર્યું છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનીલ જોષીએ કહ્યું, પેરેન્ટ્સે પોતાના સંતાનને છોકરી બનાવાનો નિર્ણય કર્યો તે સારું કર્યું. જો તેમણે તેને છોકરો બનાવાનો નિર્ણય કર્યો હોત તો મુશ્કેલ થઈ હોત કારણકે તેનામાં એક્સવાય રંગસૂત્ર છે પરંતુ વૃષણકોષ નથી. તેના શરીરમાં વજાઈના અને યૂરિન માટે મૂત્રમાર્ગ બરાબર વિકસિત થયેલા છે. અહીં ઉલ્લેખનીય છે કે, ડૉ. જોષી યૂરોલોજિસ્ટ છે અને તેમણે જ આ બાળકીની સર્જરી કરી હતી.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર શમીમા એક ગરીબ પરિવારમાંથી આવે છે. તે સૂડોહેર્મોફોર્ડિઝમ નામની દુર્લભ સ્થિતિ સાથે જન્મી હતી. આ સ્થિતિમાં પુરુષ અને સ્ત્રી બંનેના જનનાંગો હોય છે. હાલ શમીમા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેજસ્વી વિદ્યાર્થિની છે.

ચાર મહિના પહેલા શમીમાની સર્જરી કરવામાં આવી હતી અને તેને ચુસ્ત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. ડૉ. જોષીએ કહ્યું કે, આવનારા વર્ષોમાં પણ તેનું કાળજીપૂર્વક મોનિટરિંગ કરવું પડશે, જેથી તે તરુણાવસ્થામાં પહોંચે ત્યારે જરૂરી સારવાર આપી શકાય. તેનામાં એક્સવાય રંગસૂત્રો હોવાથી શક્ય છે કે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થવાનું શરૂ થાય. ટેસ્ટોસ્ટેરોનને ઉત્પન્ન થતા અટકાવા પડશે જેથી તેનો અવાજ ભારે ન થઈ જાય અથવા મૂંછો અને ચહેરા પર વાળ ન ઉગી નીકળે. જો તેના શરીરમાં વૃષણકોષ વિકસે તો તેને પણ સારવાર કરીને દૂર કરવું પડશે*, તેમ ડૉ. જોષીએ ઉમેર્યું.

દરમિયાન, આ બાળકીના માતાપિતા એ વાતથી અવગત છે કે, દીકરી પાસે ગર્ભાશય નથી. હવે તેનામાં અંડાશય હશે કે કેમ તે આવનારા સમયમાં જ માલૂમ પડશે કારણકે હાલ તો તે સ્પષ્ટપણે દેખાતા નથી, તેમ ડૉ. જોષીએ જણાવ્યું.

અગાઉ ખાસ્સા વર્ષો પહેલા બાળકીનો ચિંતિત પરિવાર તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. ત્યારે તેમને સલાહ અપાઈ હતી કે, તાત્કાલિક સર્જરીની જરૂર નથી અને બાળકી થોડી મોટી થાય પછી કરાવી શકશે. ડૉ. જોષીએ કહ્યું, અમે તેના શરીરમાંથી પુરુષના જનનાંગો કાઢી નાખ્યા છે કારણકે માતાપિતા દીકરી ઈચ્છતા હતા.

(8:15 pm IST)