Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

કેવડિયા વિશ્વનું શ્રેષ્ઠ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનતા આદિવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે: -વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશની ચારેય દિશાથી જોડતી આઠ નવીન ટ્રેનોને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાન:સરદાર પટેલના એકતા-અખંડિતાના વિઝન અને ભારતીય રેલ્વેના પ્રવાસન વૃદ્ધિનું મિશન કેવડિયામાં સાકાર: ભારતીય રેલ્વેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં પરિવર્તન આવ્યું-કેવડિયા તેનો ઉત્તમ નમૂનો: સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સ્થાનિક આદિવાસી પરિવારોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે:મુખ્યમંત્રી

અમદાવાદ ;વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન કેન્દ્ર બન્યું છે અને તેના કારણે સ્થાનિક આદિવાસી યુવાનો માટે રોજગારી-સ્વરોજગારના દ્વાર ખુલ્યા છે. તેના કારણે અનેક આદિવાસી પરિવારોનું જીવનધોરણમાં આમૂલ બદલાવ આવ્યો છે. સમગ્ર ભારતને એક કરતા ભારતીય રેલ્વેના પ્રવાસન વૃદ્ધિના મિશન અને સરદાર પટેલનું એકતા-અખંડિતાના વિઝન અહી સાકાર થઇ રહ્યા છે.
દેશની ચારેય દિશાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ્વેના માધ્યમથી જોડવા માટે ભારતીય રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી ૮ ટ્રેનને લીલી ઝંડી તથા રેલ્વેના વિવિધ નવીન પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, કેવડિયા અને પુણ્યસલાલી મા નર્મદાનો વિસ્તાર પ્રવાસીઓ તથા આદ્યાત્મિક ખોજકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં માં નર્મદાના કિનારે અલૌકિક આદ્યાત્મિક ઊર્જાનો અહેસાસ થાય છે. હું પણ અનેક વખત અહીં આવતો રહ્યો છું. પહેલા અહીં નેરોગેઝ ટ્રેઇનમાં બેસીને આવતો હતો. એ ટ્રેનની સ્પીડ એટલી હતી કે તમે એની સાથે ચાલી પણ શકો. રસ્તામાં કોઇ પણ સ્થળે તમે ચાલું ટ્રેનમાંથી ઉતરી શકો કે બેસી શકો એવી ગતિથી ટ્રેઇન ચાલતી હતી.
 આઝાદીના ઘણા દશકો સુધી રેલ્વેમાં ટેક્નોલોજીના અમલીકરણનો અભાવ તથા નૂતન સંશોધનને લાગું કરવામાં ન આવતા રેલ્વેમાં કોઇ જ પરિવર્તન આવ્યું નહી, તેમ કહેતા શ્રી મોદીએ ઉમેર્યું કે, આજે ભારતીય રેલ્વેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેનું ઉત્તમ ઉદાહરણ કેવડિયાનો આ રેલ્વે પ્રોજેક્ટ છે. જે અનેક વિટંમણાઓ વચ્ચે પણ માત્ર ૨૦ જ માસના ટૂંકા ગાળામાં પરિપૂર્ણ કર્યો છે. જેના કારણે આદિવાસી ક્ષેત્ર એવા કેવડિયાનો કાયાકલ્પ થયો છે.

   કેવડિયાને દેશના વિવિધ ક્ષેત્રો સાથે રેલ્વે કનેક્ટિવિટીથી જોડવામાં આવતા પ્રવાસીઓને અહીં આવવામાં સુગમતા રહે છે. વિવિધ રાજ્યો અને  ભિન્નભિન્ન ભાષા, વેશ ધરાવતા લોકો અહીં આવતા લઘુ ભારતનું દ્રષ્ટ સર્જાશે અને સરદાર પટેલનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થશે. દેશની એકતા અને અખંડિતતાને નિરંતર રાખવાના પ્રયાસોનો આ નવો આધ્યાય કેવડિયાથી શરૂ થયો છે, એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, કેવડિયાના સર્વાંગી વિકાસ માટે મે જ્યારે મારી મહેચ્છાની વાત કરતો ત્યારે કેટલાક લોકો તેને અશક્ય ગણાવતા હતા. તે તેમના જૂના અનુભવોને આધારે આ વાત અવગણી નાખતા હતા. પણ, આયોજનબદ્ધ રીતે પર્યાવરણના રક્ષણ સાથે ઇકોનોજી અને ઇકોલોજીના વિકાસ થકી કેવડિયાની વિકાસયાત્રાને આગળ વધારી વિશ્વનું સર્વશ્રેષ્ઠ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે. અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લઇ ચૂક્યા છે. તે સંખ્યા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ વધુ છે. એક સર્વે પ્રમાણે કેવડિયા રેલ્વે કનેક્ટિવિટીથી જોડાતા આ સ્થળે રોજના એક લાખ પ્રવાસીઓ મુલાકાત લે એવી સંભાવના પણ રહેલી છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી બેસ્ટ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કેમ છે ? તેની રૂપરેખા આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, અહીં સેંકડો એકરમાં ફેલાયેલો સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક, જંગલ સફારી પાર્ક, આયુર્વેદ અને યોગ ઉપર આધારિત આરોગ્ય વન, પોષણ પાર્ક, રાત્રે ઝગમગતો ગ્લોવ ગાર્ડન, દિવસે નિહાળી શકાય એવો ક્રેક્ટસ અને પતંગિયા પાર્ક, સહેલાણીઓ માટે એકતા ક્રૂઝ અને નવલોહિયા યુવાનો માટે રિવર રાફ્ટિંગની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. બીજા શબ્દોમાં કહી તો કેવડિયા બાળકો, યુવાનો, વડીલો અને મહિલાઓ માટે હરવાફરવાનું બહેતરીન સ્થળ છે.
 તેમણે એમ પણ કહ્યું કે, કેવડિયામાં પ્રવાસનનો વિકાસ થતાં સ્થાનિક આદિવાસીઓને વ્યાપક રોજગાર અને સ્વરોજગારની તકો મળી છે. જેના પરિણામે સ્થાનિક યુવા-યુવતિઓ ગાઇડ, કાફે ઓનર, ઝૂ કીપર સહિતની સ્થાનિક કક્ષાએ જ નોકરી કરતા થયા છે. એટલું જ નહીં એકતા મોલ થકી સ્થાનિક મહિલાઓની પરંપરાગતા હસ્તકલાને પણ વેંચાણનું કેન્દ્ર મળ્યું છે. જેના કારણે આદિવાસી કલાને વિશ્વભરમાં ઉજાગર થઇ છે. અહીંના ૨૦૦ ઘરોમાં પ્રવાસીઓ માટે હોમ સ્ટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના કારણે રોજગારીના વધુ અવસરો ઉભા થશે. વળી, કેવડિયા રેલ્વે કનેક્ટિવિટીથી જોડાતા તેમાં પણ વૃદ્ધિ થશે, તેવો આશાવાદ પણ મોદીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, રેલ્વેના પૂરા તંત્રમાં વ્યાપક બદલાવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં, નવા નવપ્રવર્તક વિચારોના આધારે રેલ્વેના અનેક ક્ષેત્રોમાં એક સાથે કામગીરી થઇ રહી છે. તેમાં રેલ્વેના નવા કોચ, નવી લાઇન, જૂની લાઇનોનું આધુનિકીકરણ, ગેઝપરિવર્તન, રેલ્વે પૂલોનું નિર્માણ અને સિગ્નલિંગ સહિતની બાબતોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે નવા પ્રકલ્પોના અમલીકરણમાં ગતિ આવી છે. આ ઉપરાંત રેલ્વે પ્રોજેક્ટ પર્યાવરણરક્ષક બને તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલ્વેમાં ઉત્પાદન અને સંશોધન માટે આત્મનિર્ભરતા ઉ૫ર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે દેશમાં સેમી હાઇસ્પીડ ટ્રેન શરૂ થઇ ગઇ છે. આગામી સમયમાં હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું ઉદાહરણ આપતા મોદીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૬થી ૨૦૧૪ સુધીના સમયગાળામાં આ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ દોડતો હતો અને એક કિલોમિટરના રેલ્વે ટ્રેકનું કામ થયું નહોતું. આજે અમારા દ્રષ્ટિવંત આયોજનને પરિણામે ૧૧૦૦ રેલ્વે ટ્રેકનું કામ પૂર્ણતાના આરે છે.
 ભારતીય રેલના વિકાસ માટે અમે સતત નવા વિચારો, સંશોધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તેનો ઉલ્લેખ કરતા  મોદીએ કહ્યું કે, રેલ ટ્રાન્સપોર્ટ, સંશોધન અને તાલીમ સહિતની આધુનિક સવલતો માટે વડોદરામાં દેશની સૌ પ્રથમ રેલ યુનિર્વસિટી કાર્યરત કરી દેવામાં આવી રહ્યા છે. તેમાં ૨૦ રાજ્યના અનેક યુવાનો તાલીમ લઇ રહ્યા છે. તેમના દ્વારા થતાં નવા સંશોધનો થકી ભારતીય રેલ્વેના પ્રગતિના ટ્રેકને વધુ ગતિ આપશે. આવી રેલ યુનિવર્સિટી વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતમાં ડભોઇ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, પ્રતાપનગર-કેવડિયા નવા વિદ્યુતિકરણ રેલવે તથા ડભોઇ જંકશન, ચાંદોદ અને કેવડિયા રેલવે સ્ટેશનના નવીન ઇમારતોનું લોકાર્પણ કર્યું હતું.
    વડાપ્રધાનએ એકભારત શ્રેઠ ભારતના સૂત્રને સુદૃઢ કરતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સમગ્ર દેશ સાથે જોડતી વારાણસી જંકશન- કેવડિયા એકસપ્રેસ, દાદર -કેવડિયા એકસપ્રેસ, રીવા-કેવડિયા એકસપ્રેસ, અમદાવાદ-કેવડિયા જનશતાબ્દિ એકસપ્રેસ, હજરત નિઝામુદ્દીન-કેવડિયા એકસપ્રેસ, ચેન્નાઇ-કેવડિયા એકસપ્રેસ, પ્રતાપનગર-કેવડિયા મેમુ તથા પ્રતાપનગર-કેવડિયા મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 કેવડિયા ખાતે કેવડિયાના અત્‍યાધુનિક રેલવે સ્‍ટેશન તથા પ્રતાપનગર-ડભોઇ-ચાંદોદ-કેવડિયા રેલવે લાઇન તેમજ દેશની વિવિધ દિશાઓથી આવેલી અને કેવડિયાને જોડથી આઠ નવી રેલ સેવાઓના ઉદ્દઘાટન પ્રસંગે વક્‍તવ્‍ય આપતાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર દેશ અને ગુજરાતની જનતા વતી આ સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા બદલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

  રૂપાણીએ જણાવ્‍યું હતું કે, કેવડિયા સ્‍થિત સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની આ સરદાર પ્રતિમાની છાંવમાં બેઠેલા આપણને સહુને દેશનમાં એકીકૃતતા અને ‘અનેકતામાં એકતા'નો સંદેશ મળી રહયો છે.

  ભારતીય રેલવેએ દેશને ‘એક' કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આજે દેશના અલગ-અલગ ભાગોમાંથી અહીં કેવડિયા ખાતે ટ્રેનો આવશે અને કેવડિયા તથા ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી' ખરા અર્થમાં દેશના એકીકરણનો પર્યાય બની જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રતિમા નથી, પરંતુ દેશની એકતાની ભાવનાનું પ્રતીક છે. આ પ્રતિમા વિશ્વને અનેકતામાં એકતાની ભાવના, સ્વાતંત્ર્ય સંગ્રામનો સંઘર્ષ, દેશના એકીકરણનો સંદેશ આપે છે.

 નવી રેલવે ટ્રેનોના લોકાર્પણોથી કેવડિયા હવે દેશની એકતા-અખંડતાની સાથે-સાથે ‘વૈશ્વિક પ્રવાસ સ્‍થળ' બની ગયું છે. આ નવી વ્‍યવસ્‍થાથી કેવડિયાની સ્‍થાનિક પ્રજા અને આદિવાસી સંસ્‍કૃતિ વિશ્વસ્‍તરે ઉજાગર થઇ  છે. આ ટ્રેનોના માધ્‍યમથી અહીંની આદિવાસી સંસ્‍કૃતિ અને સમાજ દેશ-વિદેશમાં સીધી જ જોડાઇ જશે. કેવડિયાને વિશ્વની શ્રેષ્ઠ સ્થાપત્યકલાનું કેન્દ્ર અને આકર્ષણનું બનાવાશે.

   અત્‍યંત ટૂંકાગાળામાં વડાપ્રધાનએ સેવેલાં અકલ્‍પનીય કલ્‍પનાનું વાસ્‍તવીકરણ થતાં આપણે સહુ જોડાઇ રહ્યા છીએ. આ ટ્રેન મારફતે કેવડિયા અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને દેશ-દુનિયા સાથે જોડવાની સૌગાત આપવા બદલ રેલવે મંત્રાલયનો આભાર પ્રકટ કરતાં રૂપાણીએ ઉમેર્યું હતું કે, ડભોઇ-ચાંદોદ-કેવડિયાનું બ્રોડગેજમાં રૂપાંતરણ અને પ્રતાપનગર રેલવે સ્‍ટેશનના ટૂંકાગાળામાં વિદ્યુતિકીકરણ કરીને રેલવે તંત્રએ સરાહનીય કામગીરી કરી છે.   કેન્‍દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે સ્‍વાગત પ્રવચન કરતાં કહયું કે, વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને રેલ પરિવહન સાથે આજે જોડવાનો આ ઐતિહાસિક અવસર બની રહેશે. તેમણે કહયું કે, સરદાર સાહેબે જેમ દેશને એક કરવાનું કામ કર્યું હતું, એ જ રીતે દેશના અન્‍ય રાજ્‍યોને કેવડિયા સાથે રેલ પરિવહન સુવિધાથી જોડીને કેવડિયાના સર્વાંગી વિકાસનું સપનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું આજે સાકાર થયું છે, એ સૌ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.

 તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને વિશ્વમાં એક આઇકોનિક ઓળખ આપીને વડાપ્રધાનએ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, કેવડિયાને રેલ પરિવહન સુવિધાથી જોડવાનો આ પ્રોજેક્‍ટ વર્ષ ૨૦૧૮માં મંજૂર કર્યો અને માત્ર ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં રેલવે વિભાગે રેકર્ડબ્રેક કામગીરી કરીને પૂર્ણ કર્યો છે, તે વડાપ્રધાનની દુરદર્શિતા અને વિકાસની તેજ ગતિનું ઉત્તમ ઉદાહરણ છે.
  કેન્‍દ્રિય મંત્રી ગોયલે આજે શરૂ થનાર ટ્રેનો અને નવા વિવિધ પ્રકલ્પોની વિગતો આપતાં કહયું કે, અમદાવાદ જનશતાબ્‍દિ એકસપ્રેસમાં વિસ્‍ટાડોમ આધુનિક કોચની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. જે આ વિસ્‍તારનો કુદરતી નજારો માણવાનો અને માં નર્મદા મૈયાના દર્શનનો સુવર્ણ અવસર પૂરો પાડશે. તેમણે કહ્યું કે, આ નવીન રેલવે સુવિધાઓને પરિણામે કેવડિયા આસપાસના વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ સાથે નવી નવી રોજગારીનું સર્જન થશે અને આદિવાસી વિસ્‍તારમાં લોકોનું આર્થિક જીવન ચોક્કસ ઊંચું આવશે એવો મને દૃઢ વિશ્વાસ છે.
  આ પ્રસંગે કેન્‍દ્રિય આરોગ્‍યમંત્રી ડૉ.હર્ષવર્ધન, વિદેશ મંત્રી  એસ. જયશંકર, દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્ર સચિવ કે.કૈલાસનાથ, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્‍તા, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ, નર્મદા કલેક્‍ટર ડી. એ. શાહ, રેલવેના અધિકારીઓ તથા કેવડિયાના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

(6:36 pm IST)