Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સફાઇ કામદારોના વારસદારોને વળતર પેટે રૂપિયા 10 લાખ અપાશે :રાજ્ય સરકારે આપી વહીવટી મંજુરી

સુપ્રીમ કોર્ટના હુક્મના પગલે 2020/21ના વર્ષ માટે સરકારે શરતોનું પાલન કરવાની શરતે એક કરોડની વહીવટી મંજુરી આપી

અમદાવાદ : રાજ્યમાં સફાઈ કામદારોના વારસદારોને વળતર પેટે રૂપિયા 10 લાખ આપવા સરકારે વહીવટી મંજૂરી આપી છે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે મૃતક સફાઇ કામદારોના વારસદારોને વળતર પેટે રૂપિયા 10 લાખ ચુકવવા અંગે 2020/21ના વર્ષ માટે રૂપિયા એક કરોડની રકમ શરતોનું પાલન કરવાની શરતે વહીવટી મંજુરી આપી છે. આ સહાયની રકમનું ચુકવણું ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમે કરવાનું રહેશે. વ્યક્તિગત કે સોસાયટી કે પછી કોન્ટ્રાકટર દ્રારા સોંપાયેલી કામગીરી દરમિયાન જો સફાઇ કામદારનું  મુત્યુ નિપજે તો રકમ ચુકવવાની રહેશે નહીં તેવી સ્પષ્ટતા કરી છે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ગટર ગુંગળામણથી થયેલા અવસાનના કિસ્સામાં જ આ સહાય મળવાપાત્ર રહેશે. સફાઇ કર્મચારીના (Gujarat Sweeper) મુત્યુ સંદર્ભે સ્થાનિક મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરનું સર્ટિફિકેટ અથવા પોલીસ પંચનામાના આધારે ગુંગળામણ/ ડૂબી જવાથી મત્યુ થયાનું જણાય તો જ આ લાભ મળશે. અવસાન પામેલા સફાઇ કર્મચારીઓનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મેળવવાનો રહેશે

અવસાન પામેલા સફાઇ કર્મચારીના આક્સ્મિક મૃત્યુ અંગે એફ.આઇ.આર.માં એમ.એસ. એક્ટ 2013 હેઠળ ગુનો નોંધાયેલો હોવો જોઇએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના 27/3/2014ના ચુકાદા અન્વયે ચુકવવાની થતી વળતરની રકમ ચુકવણું માત્ર આર.ટી.જી.એસ./ઓનલાઇન વ્યવસ્થા મારફતે મૃતક સફાઇ કામદારના કુંટુંબના કાયદેસરના વારસદારને ખરાઇ કરી ચુકવવાનું રહેશે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, અવસાન પામેલા સફાઇ કર્મચારીને મહાનગરપાલિકા/નગરપાલિકા/ પંચાયતે જાતે અથવા અન્ય ખાનગી કોન્ટ્રાકટ/ પેટા કોન્ટ્રાકટર રોકીને ગટર સફાઇનું કામ સોંપેલું હોય તો તેવા કિસ્સામાં જે તે મહાનગરપાલિકા/નગરપાલિકા તેમ જ પંચાયતે સુપ્રીમ કોર્ટના ચુકાદાના 27/3/2014ના ચુકાદા અન્વયે મૃતક સફાઇ કામદારોના વારસદારોને 10 લાખની ચુકવણી કરવાની રહેશે. આવા કિસ્સામાં યોજનાનો લાભ આપવાનો રહેશે નહીં.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જો આવસાન પામનાર સફાઇ કામદારને વ્યક્તિગત રીતે એટલે કે સોસાયટી/વ્યક્તિગત મિલકતની ગટર સફાઇની કામગીરી માટે ઉતાર્યા હોય અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાની કોઇ જવાબદારી ઉપસ્થિત થતી ના હોવાથી આવા કિસ્સામાં સોસાયટીના વહીવટદાર/મેનેજર/વ્યક્તિગત સુપ્રીમ કોર્ટના 2014ના ચુકાદા અન્વયે 10 લાખનું ચુકવણું કરવાનું રહેશે

(9:29 pm IST)