Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સુરત : કોરોનાને કારણે ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શનનો લાભ નહિ મળે : કાર્યક્રમ મોકૂફ

દેશ પરદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા બ્લેન્ક ચેકની ઓફર પર કરે છે

સુરત: સવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં.જે આજે પણ પારસી પરિવાર પાસે છે અને જીવની જેમ જતન કરે છે. દર વર્ષે ભાઈબીજના દિવસે  સ્વામિનારાયણ ભગવાન ની પાઘડી  લોકોના દર્શન માટે  મૂકવામાં આવે છે  જોકે આ વર્ષે  કોરોનાની મહામારી ને કારણે  આ કાર્યક્રમ  મોકૂફ રાખવામાં આવ્યો છે  જેથી  ભક્તોને આ વર્ષે  પાઘડી ના દર્શન નો લાભ નહીં મળે, મહત્વનું છે કે ભગવાને ખુદ આપેલી પાઘડી હોય દેશ પરદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા બ્લેન્ક ચેકની ઓફર પર કરે છે. પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે

   ભગવાન સ્વામિનારાયણે વિચરણ કરતાં કરતાં સંવંત 1881માં વડોદરા ગયા હતાં. જ્યાં મંદિરમાં ધ્વજારોહણ માટે સુરત અને વડોદરાના ભાવિકોમાં ચડસાચડસીના અંતે વડોદરાવાસીઓને ધ્વાજારોહણનો લાભ મળ્યો હતો. ત્યારે ભગવાને કહ્યું કે, હું સુરત આવીશ. થોડા દિવસો બાદ સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. અને સુરતમાં થોડા દિવસો રોકાયા હતાં, અરદેશર કોટવાળ સુરતના મુખ્ય પોલીસ અધિકારી હતાં, તેમનો એવો ધાંક હતો કે ગુનેગારો એ ગુનો કરવાનું છોડી દીધું હતું. જોકે તેમની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે સુરત ટી જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ ભેટમાં આપી હતી

સ્વામિનારાયણ ભગવાને અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. અને ત્યાંથી રૂસ્તમજી તેમના દીકરા તહેમસ્પ અને પછી તેમના દીકરા કેરશાસ્પ પાસે આજે આ પાઘડી છે.

 સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

પારસી ગૃહસ્થ કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, ભગવાનની અમુલ્ય યાદ અમારી પાસે છે. જેના પર અમારી અગાઢ શ્રધ્ધા છે. અમારા પરીવારમાં રહેલી ભગવાનની અમુલ્ય ભેટ સમી આ પાઘ માટે અમુક વિદેશથી આવતાં ભક્તો બ્લેન્ક ચેકમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે અમે પ્રેમથી ના કહી દઈએ છીએ. ઘણા લોકો અમારે ત્યાં લઈ આવો તેવી હઠ કરે ત્યારે અમે ના પાડતાં તેમની સાથે અમને પણ દુઃખ થાય છે. પરંતુ જો એમ કોઈને ત્યાં લઈ જઈએ તો પાઘને જ નુકસાન થાય તેવું પણ બને છે. Swaminarayan Temple

આશરે બે સદીથી પાઘને સાચવતા પારસી પરિવારે જણાવ્યું હતું કે, અગાઉ તેઓ નેતરના કરંડીયામાં પાઘ રાખતાં હતાં. અને લોકોને દર્શન કરાવતાં હતાં. પરંતુ ઘણા વર્ષોથી તેઓએ પાઘ માટે ખાસ લાકડાની એક પેટી બનાવી છે. જેમાં પાઘના દર્શન થઈ શકે તે માટે કાચ લગાવ્યા છે. સાથે તેમણે જણાવ્યું કે, પાઘને ભલે બે સદી જેટલો સમય થવા આવ્યો છતાં પાઘનું કપડું હજું એટલું પણ જીર્ણ નથી થયું. પાઘને નુકસાન ન પહોંચે તે માટે કંકુના ચાંદલાથી લઈને ફૂલના હાર ચઢાવવા દેવામાં નથી આવતાં વળી વર્ષો જૂની પાઘના કપડાને કોઈ રીતે નુકસાન ન પહોંચે તે માટે દર્શન કરવા દઈએ છીએ પણ સ્પર્શ કરવા દેતા નથી. નિયમિત રૂપે લાકડાની પેટીમાં રહેલી પાઘને બહાર કાઢીને સાફ સફાઈ કરવામાં આવે છે. સાથે કપુર સહિતની લવિંગ વગેરે વસ્તુઓથી પાઘને સાચવવામાં આવે છે. Swaminarayan Temple

પાઘ ઘરમાં હોવાથી વિઘ્નો ટળતાં હોવાનું કહેતા પારસી સદગૃહસ્થ કરશાસ્પની પત્નીએ જણાવ્યું હતું કે, દીકરીને સાસરે વળાવ્યાં બાદ ઘરમાં અમે ચાર સભ્યો રહીએ છીએ. અને દરેકને સતત ભગવાનની અનુભૂતિ થયા કરે છે. વળી, ભગવાનની પાઘના કારણે અમારે ત્યાં સતત સાધુ સંતો આવતાં રહે છે. આજે લોકો સંતોને પધરામણી કરાવવા મથતા જોવા મળે છે. જ્યારે અમારે ત્યાં ભગવાનની પાઘથી સૌ સારા વાના થઈ રહેતા હોવાની તેઓ શ્રધ્ધા ધરાવે છે.

(12:32 pm IST)