Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

દરેક માનવી સુધી યોગને પહોંચાડવાનું યોગ બોર્ડનું ધ્યેય :કોરોનામાં ઇમ્યુનિટી વધારવા યોગ- પ્રાણાયામ અસરકારક માધ્યમ :શીશપાલજી

રાજપીપળામાં યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ યોજાયો

રાજપીપળા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગમય ગુજરાત અંતર્ગત “યોગ સંવાદ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પતંજલિ યોગ સમિતિ અને જયમાતાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ જીગિશાબેન ભટ્ટ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશભાઇ તડવી, નાયબ પોલીસ અધિક્ષક સી.એન. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રભાતભાઇ હથેલીયા, જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના અધિકારી વિઠ્ઠલભાઇ તાયડે, કામીનાબેન રાજ, પંચમહાલના યોગ ટ્રેનર પિંકીબેન મેકવાન, જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.દમયંતીબા સિંધા સહિત નર્મદા અને છોટાઉદેપુરના યોગ ટ્રેનરો-યોગકોચ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે આજે “યોગ સંવાદ”નો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ છેવાડના દરેક માનવી સુધી વધુ યોગનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય ગુજરાત યોગ બોર્ડે અભિયાનની માફક ઉપાડ્યું છે.સમગ્ર રાષ્ટ્રને યોગમય બનાવવા યોગકોચો-ટ્રેનર્સેએ પણ પોતાનો વિકાસ કરવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લાનો છેવાડાનો દરેક માનવી યોગથી સારી રીતે પરીચિત થાય અને તેને પોતાની જીવન શૈલીનો ભાગ નિરોગી બની રહે તે દિશામાં કામ કરવા આગ્રહ કર્યો હતો. તેની સાથોસાથ કોવીડ-19 ની મહામારીમાં ઇમ્યુનિટી વધારવા યોગ-પ્રણાયામ અસરકારક માધ્યમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ જીગિશાબેન ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યુ હતું કે, પ્રાચીન સમયમાં પણ ઋષિઓ યોગ સાધના શાંતિ મેળવવાં માટે કરતાં હતાં. આજે પણ યોગ-વ્યાયામની પણ એટલી જ જરૂરીયાત છે તો દરેક વ્યક્તિએ યોગ-વ્યાયામ કરવાથી શરીર અને મનની શાંતિ જાળવવા માટે યોગ અતિ જરૂરીયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. યોગને ઘર ઘર સુધી પહોચાડવા અને ગુજરાતને યોગમય બનાવવા આપણે સૌએ સહભાગી બનવાનું તેમણે ઉમેર્યું હતું.

(9:59 pm IST)