Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જીટીયુમાંથી શિક્ષિત વિદ્યાર્થીઓનું કૌશલ્ય રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં કામ આવશેઃ વિજયભાઇ

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી ઘડનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજયઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા : આધુનિક શિક્ષણની સજજતાના સમન્વયથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકશેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીર્ટીનો ૧૦મો દિક્ષાંત સમારોહ સંપન્ન

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવી પ્રાપ્ત કર્તા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દીક્ષાંતે મેળવેલી પદવીની સાર્થકતા માનવીય અભિગમ સાથે રાષ્ટ્રવિકાસના પુરુષાર્થ દ્વારા સિદ્ઘ કરે.  તેમણે જણાવ્યુ હતુ કે, ટેકનોલોજીના વર્તમાન સમયમાં સમાજને કૌશલ્યવાન યુવાધનની પ્રતિક્ષા છે ત્યારે ભારતીય પ્રાચીન જ્ઞાન પરંપરાના સંસ્કાર સાથે આધુનિક શિક્ષણની સજ્જતાના સમન્વયથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકશે.

રાજયપાલએ ગુજરાતના સાર્વત્રિક વિકાસની નોંધ લઇ જણાવ્યુ હતુ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અવિરત માર્ગદર્શન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજય આજે દેશભરમાં વિકાસનું આગવું મોડેલ બની રહ્યુ છે ત્યારે કૌશલ્યવાન યુવાધન ગુજરાતની આ વિકાસયાત્રામાં નવું જોમ પૂરું પાડશે. દયા, કરૂણા, સહિષ્ણુતા અને ભલાઇના માર્ગ પર ચાલીને રાષ્ટ્રકલ્યાણના લક્ષને સિદ્ઘ કરવા રાજયપાલશ્રીએ યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને આજીવન વિદ્યાર્થી બની રહેવા અને જ્ઞાનસંપદાને સતત સમૃદ્ઘ બનાવવા આહ્વાન પણ કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજયના સામાન્ય પરિવારના સંતાનોને- વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાન મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જી.ટી.યુ.ની સ્થાપના કરી હતી.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૧૦મા દિક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે, એક સમયે ગુજરાતના યુવાનને મેડીકલ અને એન્જિનિયરીંગના અભ્યાસ માટે ભારે ભરખમ ડોનેશન ભરી રાજયની બહાર ભણવા જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, સમગ્ર ભારતમાં ગુજરાત એજયુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. 'ગુજરાતની સ્થાપના બાદ ૩૫ વર્ષો સુધી રાજયમાં માત્ર ૭ યુનિવર્સિટી હતી જયારે આજે વધીને ૭૭ સેકટર સ્પેસિફીક યુનિવર્સિટીઓ થઇ છે', તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પાછલા બે-અઢી દાયકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં ટેકનિકલ એજયુકેશન ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું છે. ગુજરાતમાં ૧૯૯૫માં માત્ર ૨૦ ડિગ્રી-એન્જિનિયરિંગ કોલેજો હતી જે આજે વધીને ૨૪૨ થઈ છે. ૨૨૯૫ ડિગ્રી-એન્જિનિયરિંગની બેઠકો હતી જે વધીને આજે ૮૧૫૮૬ થઈ છે.તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ૧૯૯૫માં માત્ર ૯ ડિપ્લોમા-એન્જિનિયરિંગ કોલેજો હતી જે આજે વધીને  ૧૬૪ થઈ છે. ૬૦૨૦ ડિપ્લોમા-એન્જિનિયરિંગની બેઠકો હતી જે વધીને આજે ૭૫૭૫૩ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જી.ટી.યુ. માંથી શિક્ષિત વિદ્યાર્થીઓનું કૌશલ્ય રાષ્ટ્રનિર્માણમાં કામ આવશે. રાજયના યુવાનોને પુરતી તક મળે તે પ્રકારે રાજયમાં શિક્ષણ અને રોજગાર સર્જન માટે સરકાર સતત પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વલ્લભી શિક્ષણ યુગ પાછો લાવવાની શરૂઆત થઇ ચુકી છે. જી.ટી.યુ.માં ૯૦૦ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પાસ થયા છે. ગુજરાતમાં ૧૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્ટડી ઇન ગુજરાત થકી વધુ વિદેશી વિધાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવે તેવી તેમણે નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી રહેવાનું સૂચન કરતા કહ્યું કે, આવનારો સમય ગુજરાત નો સમય છે, ત્યારે રાજયના યુવાનો નવા પડકારોને ઝીલી નવા વિચારો સાથે સજ્જ બને. યુવાનોને પેટન્ટથી પ્રોડકશન, ઈમેજીનેશનથી ઇનોવેશન યાત્રા કરી જોબ સિકરમાંથી જોબ ગિવર બને તેવું આહવાન તેમણે કર્યું હતું.

ગુજરાતની સિદ્ઘિઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આખા દેશમાં ગુજરાત સૌથી વધુ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ૫૨% મેળવ્યું છે. દેશના કુલ કાર ઉત્પાદનમાંથી ૨૧% કાર ગુજરાતમાં બને છે. દેશનું ૪૦% કાર્ગો ગુજરાત હેન્ડલ કરે છે. કૃષિક્ષેત્રે હોય કે વાહન ઉત્પાદન ક્ષેત્ર ગુજરાતમાં વ્યાપક કામો થઇ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસના માર્ગે ગતિમાન ગુજરાતમાં હર ક્ષેત્રે કુશળ અને નોલેજવાળા યુવાધનની જરૂર છે. સરકાર આ માટે સ્પીડ, સ્કેલ અને સેન્સિટિવિટીથી કામ કરી રહી છે. તેઓએ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થિઓને શુભેછાઓ પાઠવી હતી.મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને 'નિર્માણો કે પાવન યુગમે ચરિત્ર નિર્માણ ન ભૂલે, સ્વાર્થ સાધના કી આંધીમે વસુધા કા કલ્યાણ ન ભૂલે'નો મંત્ર આપતા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે પ્રેરીત કર્યા હતા.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જી.ટી.યુ. કેમ્પસમાં નિદર્શિત સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટ-અપ રાજયના યુવાનોનું શકિત-સામર્થ્ય દર્શાવે છે. તેમણે કહ્યું કે ગુજરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલીસી ઘડનારું દેશનું પ્રથમ રાજય છે.

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન સેન્ટર હાલ રાજયની ૩૦ યુનિવર્સિટીમાં કાર્યરત છે. ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રાજયની તમામ ૭૭ યુનિવર્સિટીમાં આ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન સેન્ટર કાર્યરત થઈ જશે.

તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે એપ્રિલ મહિનામાં હેકાથોન યોજવામાં આવે છે. આ કેન્દ્રીય હેકાથોન પહેલા રાજય સ્તરે યુનિવર્સિટીઓ વચ્ચે હેકાથોન સ્પર્ધા યોજી યુવાનોને વધુ સક્ષમ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.

શિક્ષણમંત્રી વિદ્યાર્થીઓને ઇનોવેટર અને ક્રિએટિવ બનવાનું આહવાન કરતા જણાવ્યું કે, દીવડા જેવી સામાન્ય વસ્તુ માટે ચાઇના પર નિર્ભર રહેવું યોગ્ય નથી, હવે આપણે 'આત્મનિર્ભર ગુજરાત- આત્મનિર્ભર ભારત'ની દિશામાં પ્રયાણ કરવાનું છે. આજના યુવાનો આ સ્વપ્નને સત્વરે સાકાર કરશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

જીટીયુના રજિસ્ટ્રાર કે. એન. ખેરે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, જીટીયુ હંમેશા ઇનોવેશન કરનાર અને સ્ટાર્ટઅપ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રેરકબળ પુરુ પાડી રહી છે.જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે કોરોના પેન્ડેમીક દરમિયાન યુનિવર્સિટીએ ટેકનોલોજીના ઉપયોગ વડે તકનીકી શિક્ષણ આપવાની કામગીરી ચાલુ રહી હોવાનું જણાવી જી.ટી.યુ.ના એક દાયકાથી વધુ લાંબી શિક્ષણ યાત્રાનો ચિતાર આપ્યો હતો. જી.ટી.યુ. યુવા સંશોધકોને આવશ્યક એન્વાયરમેંટ અને પ્રેરકબળ આપી રાજયનું ઇનોવેશન હબ બની ઉભર્યું છે તે યુનિવર્સિટીની ઉપલબ્ધિ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના દસમા દિક્ષાંત સમારોહમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોના પૂર્વ અધ્યક્ષ પદ્મવિભૂષણ ડો. કે. કસ્તુરીરંગને જીટીયુના પદવી ધારકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, ટેકનોલોજીના વર્તમાન સમયમાં એકસપિરિયન્સ - કમિટમેન્ટ અને ઇનોવેશન દ્વારા સફળતા મળી શકે છે. તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ નો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અંગે મલ્ટી ડિસિપ્લિનરી સિસ્ટમ અને મલ્ટીપલ એન્ટ્રી - એકિસટને કારણે વધુ સક્ષમ અને કૌશલ્યવાન બની શકશે. વિદ્યાર્થીઓ વધુ શ્રેષ્ઠ ઇનોવેટર અને તેની હિમાયત કરતા કસ્તુરીરંગને જણાવ્યું હતું કે, આજના 'ટેકનોલોજી ડ્રિવન'વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ આધુનિક સમાજમાં ઇનોવેશન, મૌલિકતા, આત્મવિશ્વાસ, રચનાત્મક માનસ અને પડકારોને પહોંચી વળવાની ક્ષમતા દ્વારા યુવાનો શ્રેષ્ઠ સફળતા હાસલ કરી શકશે. તેમણે શિક્ષણ નીતિમાં શિક્ષકોની સજ્જતા પર આપવામાં આવેલા મહત્વને દોહરાવી ગુણવત્ત્।ાપૂર્ણ શિક્ષણ અને સંશોધનની હિમાયત કરી હતી. શ્રી કસ્તુરીરગંને જીવનના દરેક તબક્કે ગમે તેવા સમય–સંજોગોમાં પણ સતત શિખતા રહેવાનો વિદ્યાર્થીભાવ હ્રદયમાં કાયમ રાખવા વિદ્યાર્થીઓને અનુરોધ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.૧૦માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના ૧,૦૬,૫૧૧ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૩૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૫૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે બ્રુક એન્ડ બ્લૂમ્સ સ્ટાર્ટઅપના યશ ભટ્ટને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપકર્તા માટેનો આ વર્ષનો ગોલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે. જેમણે મંદિરમાં ચઢાવેલાં ફૂલો અને પૂજાપામાંથી હાઈકવોલિટીનું ખાતર, ગુલાબજળ, અગરબત્તી અને અન્ય ગીફટ બાઉલ બનાવીને વેસ્ટ મેનેજમેન્ટ અને એમ્પલોઈમેન્ટ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પી.એચ.ડી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં અને અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરાઈ હતી.

આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ, બોર્ડ ઓફ ગવર્નંન્સના સભ્યો, અધ્યાપકશ્રીઓ, દીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સોશિયલ ડિસ્ટન્સીગ સહિતના કોવિડ-૧૯ના પ્રોટોકોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(4:12 pm IST)