Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

અમદાવાદ મનપાના વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો

રાજયસભાની ચૂંટણી વખતે આપેલું વચન હાઇકમાન્ડે પાળ્યું : પ્રોમિસ ના આપ્યું હોત તો આઠ ધારાસભ્યોના બદલે 10 ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત !!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.રાજયસભાની ચૂંટણી વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલને આપેલું પ્રોમિસ કોંગ્રેસ હાઇકમાન્ડે પાળ્યું છે. જો તેઓએ આ પ્રોમિસ ના આપ્યું હોત તો આઠ ધારાસભ્યોના બદલે 10 ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ પ્રોમિસના ભાગરુપે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે બંને ધારાસભ્યોની વાત માનીને દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ડિસેમ્બર 2020માં મુદત પુરી થતી હતી. જો કે કોરોનાના કારણે હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ત્રણ મહિના મોકૂફ રખાઇ છે. પરંતુ વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા દિનેશ શર્માનું રાજીનામું લઇ લેવા અંગે છેલ્લાં કેટલાંક સમયથી બે ધારાસભ્યોએ રટણ ચાલુ રાખ્યું હતું. પરંતુ એક યા બીજા કારણોસર ખેંચાતું જતું હતું. આજે દિવસ દરમિયાન રોડ એન્ડ બિલ્ડીંગ તથા વોટર કમિટીમાં ભાગ લીધા બાદ સાંજે દિનેશ શર્માએ  પોતાનું રાજીનામું કોંગ્રેસના હાઇ કમાન્ડને આપી દીધું હતું. જો કે તેઓ અંગત કારણોસર આપ્યું હોવાનું જણાવી રહ્યાં છે. આ રાજીનામા પાછળ કોંગ્રેસના બે ધારાસભ્યો હિંમતસિંહ પટેલ તથા શૈલેષ પરમારની માંગણી હોવાની વાતો જોરશોરથી ચર્ચાઇ રહી છે. ત્યારે સત્ય શું છે તે જાણવા માટે ધારાસભ્ય શૈલેષ પરમારનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

જયારે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, હાઇ કમાન્ડનો નિર્ણય છે. તે શિરોમાન્ય છે. પરંતુ રાજયસભાની ચૂંટણી વખતે આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. તે વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલે પણ દિનેશ શર્માને દૂર કરવામાં નહીં આવે તો રાજીનામાં ધરી દેશે તેવી વાત કરી હતી. જેના જવાબમાં પાર્ટીએ પ્રોમિસ આપ્યું હતું. જે પ્રોમિસ પ્રાદેશિક હાઇકમાન્ડે પાળ્યું છે.

આ અંગે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, હું આ બાબતમાં કાંઇ જાણતો નથી, કહેવા પણ માંગતો નથી. આ તો પાર્ટીની પ્રક્રિયા છે પ્રદેશ પ્રમુખ સંગઠનના વડા છે. અમે કોઇ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામાંની વાત કરી નથી. અમે પક્ષમાં વફાદાર રહ્યા છીએ. અમે કોઇ આવી વાત કરી નથી. અમે રાજીનામાંની પણ માંગ કરી નથી. બધી ખોટી વાત છે. બધાં ખોટી વાત ચલાવે છે. કોર્પોરેશનનો ઇસ્યુ કોર્પોરેશન કક્ષાએ ચાલે છે. અમારું નામ કેમ ચાલે છે તે જ સમજાતું નથી.

વિરોધ પક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું છે. જેના કારણે ખાલી પડેલા આ પદ પર બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર કમળાબેન ચાવડા, અમરાઇવાડીના કાઉન્સિલર બળદેવ દેસાઇ તથા વિરાટનગર વોર્ડના કાઉન્સિલર રણજીતસીંહ બારડના નામો ચર્ચામાં આવ્યા છે.

(1:14 am IST)