Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મળેલ પ્રજાકીય સહયોગ અને રાજ્ય સરકારની અસરકારક કામગીરીને સફળતા:નીતિનભાઇ પટેલ

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દ્વારા નાયબ મુખ્યમંત્રીનીતિનભાઇ પટેલ અને જિલ્લા કલેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા :ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી

અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી  હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસ સંદર્ભે તથા આગામી તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે પૂરતી તકેદારી સાથે કામ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરશ્રીઓ પણ જોડાયા હતા.

  કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આગામી તહેવારોમાં પણ પૂરતી તકેદારી અને SOP અનુસાર જનજાગૃતિ સાથે કામગીરી કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે જે દ્રઢ નિર્ણયો લીધા છે તેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘરઆંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે તે દેશ માટે નવી રાહ ચીંધનારો છે.
  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓની માહિતી આપતા કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન તથા icmrની ગાઈડલાઈન મુજબ ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જ્યારથી રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી ચિંતિત થઈને દરરોજ તેમના અધ્યક્ષ પદે કોર કમિટીની બેઠક યોજે છે અને અનેકવિધ જનહિત લક્ષી નિર્ણય લે છે. જેના પરિણામે રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે.
  નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારના અસરકારક પગલાંઓને પરિણામે આજે રાજ્યમાં રિકવરી રેટ ૮૮.૨૨ ટકાએ પહોંચ્યો છે. જ્યારે ટેસ્ટિંગમાં પણ WHOની ગાઈડલાઈન અનુસાર પ્રતિ મિલિયન પ્રતિ દિવસ ૧૪૦ હોવા જોઈએ તેની સામે રાજ્યમાં પ્રતિ મિલીયન  પ્રતિ દિવસ સાત થી આઠ ગણાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પ્રતિદિન ટેસ્ટિંગની ક્ષમતા વધારતા ગયા અને ૭૫ હજાર સુધી ટેસ્ટિંગ કર્યા છે. રાજ્યના સરકારી-ખાનગી તબીબો સહિત મેડિકલ પેરામેડિકલ સ્ટાફ લોકોના ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે છે અને માર્ગદર્શન આપે છે. ધનવંતરી રથ દ્વારા પણ શહેરો-ગામડાના ગરીબ વિસ્તારોમાં ત્વરિત સારવાર આપવામાંઆવી રહી છે.
  તેમણે ઉમેર્યું કે કોરોનાના કપરા કાળમાં શરૂઆતમાં બેડ કેપીસીટિ ઓછી હતી તે ઉતરોતર વધારીને તમામ જિલ્લા મથકોએ કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલો બનાવી સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સરકારે બેડ એક્વાયર કરીને સારવારનો ખર્ચ સરકારે ઉપાડીને વિનામૂલ્યે સારવાર ખાનગી હોસ્પિટલમાં આપી જેના લીધે સરકારી હોસ્પિટલમાં ભારણ ઘટ્યું અને ત્વરીત સારવાર મળી. રાજ્યના ખાનગી તબીબો મેડીકલ એસોસિએશનો તથા સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ વ્યાપક સહયોગ મળતા સંક્રમણ અટકાવી શક્યા છીએ. રાજ્ય સરકારે કરેલી કામગીરીની સુપ્રીમ કોર્ટે પણ સરાહના કરીને ગુજરાત મોડલ અપનાવવા અન્ય રાજ્યોને અનુરોધ કર્યો છે.
  તેમણે ઉમેર્યુ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ વખતોવખત માર્ગદર્શન મળ્યુ એની સાથે સાથે મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ માટે પૂરતી કીટ, માસ્ક તથા ટેસ્ટિંગ માટે લેબોરેટરીની મંજૂરીઓ મળતા ટેસ્ટીંગની ક્ષમતા વધી છે. જેનો સીધો ફાયદો નાગરિકોને મળ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રવેશના તમામ માર્ગોની બોર્ડર પર A.M.C. દ્વારા ટેન્ટ લગાવીને ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
  તેમણે ઉમેર્યુ કે, હાલ રાજ્યમાં નવરાત્રી અને આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રખાશે. જનહિત માટે અમે જે દ્રઢ નિર્ણયો કરીએ છીએ એમાં પ્રજાકીય સહયોગ પણ વ્યાપક મળી રહ્યો છે એના લીધે આ સફળતા મળી છે.
  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે આરોગ્ય વિભાગ દ્વારા સધન આયોજન કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે અને એકે એક નાગરિક સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે. રાજ્ય સરકારે જનજીવન પૂર્વવ્રત બને એ માટે જે નિર્ણયો લીધા છે તેના પરિણામે અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો છે. ઉધોગ, ધંધા, ખેતીના વ્યવસાય પણ રાબેતા મુજબ શરૂ
થયા છે. GSTની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ, ડિઝલની વપરાશમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. એ જ રીતે લોકડાઉન પહેલા વ્યવસાયીક ક્ષેત્રે જે વીજ વપરાશ હતો એટલો જ વપરાશ આજે થઇ ગયો છે. એટલે કે ઉધોગ ધંધા પૂર્વવત થઇ ગયા છે અને જનજીવન પણ ધબકતું થઇ રહ્યું છે.
  તેમણે ઉમેર્યુ કે, આગામી ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સીન મળવાની સંભાવના છે. એ સૌ દેશવાસીઓ માટે ગૌરવરૂપ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની પાંચ હોસ્પિટલોને ટ્રાયલ માટે જે મંજૂરી આપવામાં આવી છે. એ દિશામાં પણ સરકારે હકારાત્મક કામગીરી શરૂ કરી દીધી છે. આમ, સમગ્રતયા રાજ્ય સરકાર સંક્રમણ વધે નહીં એ માટે પૂર્ણાતયા પ્રયાસો કરી રહી છે અને આગામી સમયમાં પણ પ્રયાસો કરશે જેનો સીધો લાભ નાગરિકોને થશે.
આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવએ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. આ વેળાએ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ જિલ્લાના કલેક્ટરઓ તથા ઉચ્ચ અધિકારીઓએ સહભાગી થઇને માહિતી આપી હતી.

(7:00 pm IST)