Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

એસટી જ નહીં પરંતુ આજ રાત્રિથી અમદાવાદમાં AMTSની બસો પણ કર્ફ્યુના બંને દિવસ બંધ રહેશે

આજ રાતના આઠ વાગ્યાથી બસો જુદા-જુદા 635 રુટ પર બસના પૈડાં થભી જશે: એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો

અમદાવાદ : કોરોનાના વધી રહેલા ચેપના પગલે સરકારે અમદાવાદમાં શુક્રવાર રાત્રિથી સોમવાર સવારના છ વાગ્યા સુધીના બે દિવસના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પગલે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) કરફ્યુના બંને દિવસ બંધ રહેશે. એએમટીએસ આજ રાતના આઠ વાગ્યાથી બંધ થઈ જશે. હાલના સમયમાં એએમટીએસની બસો જુદા-જુદા 635 રુટ પર ચાલે છે. સરકાર છૂટ આપશે તો રેલવે સ્ટેશન અને એરપોર્ટના રુટ ચાલુ રાખવામાં આવશે અથવા તો સ્પેશિયલ બસો મૂકવામાં આવશે

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં કોરોના વકરતા સરકારે આજ રાતના નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પગલે રાતના નવ વાગ્યા પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ નહીં જઈ શકે. આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહે

  સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. અમદાવાદ આવેલા લોકોએ રીતસર પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્સ તરફ દોટ લગાવી હતી

(1:36 pm IST)