Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પાંચ પત્રકારો પણ કોરોનાની લપેટમાં

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૧૪૯ દર્દીઓ ઓકસીજન ઉપર : વધુ ૧૦૦ બેડ ફાળવાયા : કુલ ૨૧૦ દર્દીઓ સારવારમાં

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૦ : રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દીઓ ઓકિસજન ઉપર હોવાની વિગતો બહાર આવવા પામી છે.

સિવિલમાં ચાલતી કોરોનાની ઓપીડીમાં આજે ૧૫૩ જેટલા દર્દીઓની તપાસ કરાઇ હોવાની વિગતો બહાર આવવા પામેલ છે. હાલ ૨૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલમાં વધુ ૧૦૦ બેડની નવી ફાળવણીની વાત પણ જાણવા મળેલ છે. આમ ૧૪૯ દર્દીઓ ઓકિસજન ઉપર હોવાની ચર્ચા સિવિલમાં ચર્ચાઇ રહી છે.

ગાંધીનગરમાં દિવાળીના તહેવારો બાદ અચાનક પરિસ્થિતિએ વેગ પકડતા સરકાર દ્વારા સિવિલના આરોગ્ય તંત્રને વધુ વિગતો બહાર ન પાડવાની ખાનગી સૂચના મળી હોવાનું જાણવા મળેલ.

બીજી તરફ ગાંધીનગરના પાંચ પત્રકારો પણ કોરોનાનો ભોગ બન્યા છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(2:52 pm IST)