Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોરોનાગ્રસ્ત શિલ્પાબેને સયાજી હોસ્પિટલમાં જૂડવા બાળકોને જન્મ આપ્યો : બધાય સ્વસ્થ

મેટરનિટી યુનિટમાં કોરોના સગર્ભા માતા શિલ્પાબેનની શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવાઈ

વડોદરા કોર્પોરેશને  યાદીમાં જણાવ્યું હતું કે, કોરોના કટોકટીના સમયમાં સરકારી સયાજી હોસ્પિટલની ખરેખરી સારવાર નિષ્ઠા અને લોક આરોગ્ય માટેની પ્રતિબદ્ધતા પૂરબહાર નિખરી છે. આ હોસ્પિટલની કોરોના સારવાર સાફલ્ય ગાથાઓમાં 18 મી સપ્ટેમ્બરે વધુ એક ઉજ્જળ પ્રકરણ ત્યારે ઉમેરાયું હતું જ્યારે અહીંના કોરોના પોઝિટિવ સગર્ભાઓ માટેના વિશેષ કોરોના મેટરનિટી યુનિટમાં કોરોના સગર્ભા માતા શિલ્પાબેનની શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવવામાં આવી અને માતાએ જોડિયા સંતાનોને જન્મ આપ્યો.

એક તો આ માતા છેક છેલ્લી ઘડીએ કોરોના સંક્રમિત જણાયા, બીજું તેમના ગર્ભમાં જોડિયા બાળકો હતા અને ત્રીજું 11 વર્ષના લાંબા ગાળા પછી તેમણે ગર્ભ ધારણ કર્યો હતો, ચોથું તેમની ઉંમર પણ સલામત અને સામાન્ય પ્રસુતિની ઉંમર કરતાં વધુ હતી અને પાંચમું તેઓ અને પરિવારને બધું હેમખેમ પાર ઉતરે એનો તણાવ હતો. આમ, શિલ્પાબેનની સુવાવડ કરાવવા આડે ઘણાં પડકારો હતા, સયાજી ના રૂક્ષ્‍મણી ચેન્નાની પ્રસૂતિ ગૃહના કોરોના યુનિટમાં કાર્યરત તબીબો અને નર્સિંગ સ્ટાફની કુશળતાની કસોટી હતી. આ તમામ પડકારોને સફળતાપૂર્વક ઝીલી લઈ, પોતાના જ્ઞાન અને ઈશ્વરની સહાયમાં વિશ્વાસ રાખી આ સરકારી સેટ અપના કમૅયોગીઓએ શિલ્પાબેનને શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવી એ ઘટનાને એક મહિનાનો સમય પૂરો થવા આડે હવે ત્રણ દિવસ બાકી છે. જોડિયા દીકરા અને માતા સ્વસ્થ અને તંદુરસ્ત છે તો પિતા નવનીત તલાટી અને તેમનો આખો પરિવાર ખુશખુશાલ છે. તલાટી પરિવારે કોરોના કટોકટીમાં સરકારી સયાજી હોસ્પિટલ અને તેના તબીબો, નર્સિંગ સ્ટાફ પર મૂકેલો વિશ્વાસ સાર્થક થયો છે. સયાજી હોસ્પિટલ પરિવારને પણ તેનો અદકેરો આનંદ છે.

આ ઘટના અંગે વિગતવાર જાણકારી આપતાં કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડૉ. બેલીમે જણાવ્યું હતું કે છાણી વિસ્તારનો આ તલાટી પરિવાર આર્થિક રીતે સંપન્ન છે. પરિવારમાં પહેલાં સંતાનના જન્મ પછી ખૂબ લાંબો સમય વિતી ગયો હતો, દંપતીને બીજા સંતાનની ઝંખના હતી એટલે ટેસ્ટ ટ્યુબ બેબી માટે ખર્ચાળ પ્રયાસો કરી જોયા પણ સફળતા મળી નહિ.

વર્ષની શરૂઆતમાં શિલ્પાબેનને કુદરતી ગર્ભાવસ્થા પ્રાપ્ત થતાં પરિવાર આનંદિત થયો. ખાનગી દવાખાનામાં નિયમિત તપાસ, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ કરાવી માતા અને ગર્ભમાં રહેલા શિશુઓની કાળજી લેવામાં આવી. સપ્ટેમ્બરની મધ્યમાં પ્રસૂતિની સંભાવના હતી. આ પ્રકારના કેસોમાં તબીબો માતા અને ગર્ભસ્થ શિશુઓની સલામતી માટે કુદરતી પ્રસૂતિ પીડા અને સુવાવડનું જોખમ લેવાને બદલે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસુતિનો સેફ રસ્તો અપનાવે છે.

તે પ્રમાણે ગત 18 મી સપ્ટેમ્બરે ખાનગી દવાખાનામાં તબીબે એમની શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવાની તૈયારી સાથે દાખલ એમને દાખલ કર્યા. અને ગ્રહણ ટાણે સાંપ નીકળ્યા જેવી ઘટના બની. કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ઓપરેશન પૂર્વે એમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ જણાતા મુંઝવણ ઊભી થઈ. આ દવાખાનાને કોરોના પોઝિટિવ ડિલિવરી માટે માન્યતા ન હતી. એટલે એમને તાત્કાલિક માન્ય દવાખાનામાં ખસેડવા જરૂરી હતાં.

પરિવારને આ સમયે સરકારી સયાજી હોસ્પિટલનો વિકલ્પ સલામત લાગ્યો. અને શિલ્પાબેનને સયાજીની કોરોના ઓપીડી ખાતે લાવવામાં આવ્યા જ્યાં પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે કોરોના કટોકટીના પ્રારંભમાં જ વડોદરાના એક પરિવારની બે સગર્ભા કોરોના પોઝિટિવ જણાઈ હતી. જેને અનુલક્ષીને સયાજી હોસ્પિટલમાં વિશેષ કોરોના ગાયનેક યુનિટ કોરોના સારવાર સુવિધા હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. તે પછી ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવે અગમચેતીના ભાગરૂપે ગોત્રી હોસ્પિટલની કોરોના સારવાર સુવિધામાં પણ તેનો પ્રારંભ કરાવ્યો હતો. આમ, સરકારી આરોગ્ય તંત્ર પાસે બે દવાખાનાઓમાં કોરોના પોઝિટિવ સગર્ભાની સારવાર અને સલામત પ્રસુતિની સુવિધા છે.

(12:25 pm IST)