Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સહકારી ક્ષેત્રે હલચલ તેજ : 23મીએ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાશે ચૂંટણી: રાજકીય ગરમાવો

ત્રણ પ્રતિનિધિ નિમણુંક મામલે રાજ્ય રજિસ્ટ્રારમાં 20મી એ સુનાવણી: જાહેરનામું બહાર પડતાં જ રાજકીય ગરમાવો

અમદાવાદ : અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટેની ચૂંટણી આગામી તા. 23 ના રોજ સવારના 11 વાગ્યે અમૂલના સભાખંડમાં યોજવાનું વિધિવત જાહેરનામું બહાર પડાયું છે, ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા પોતાના 3 પ્રતિનિધિઓને નિમણુક નિયામક મંડળમાં મુકવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. તેની સુનામણી 20મી ઓક્ટોબરના રોજ રાજ્ય રજીસ્ટારમાં યોજાનાર છે. ત્યારે 23મીએ યોજાનાર ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રે હલચલ તેજ થવા પામી છે.

   ગત 14 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા અમૂલના નિયામક મંડળની ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ નંબર 80 હેઠળ ત્રણ પ્રતિનિધિઓ ભરતભાઈ પટેલ, પ્રભાતભાઈ ઝાલા,દિનેશભાઈ પટેલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને લઇને ગુજરાત રજિસ્ટ્રારે ચૂંટાયેલા 15 ડિરેકટરોને કારણદર્શક નોટિસ જારી કરીને આ પ્રતિનિધિઓની નિમણૂક પહેલા રજૂઆત કરી હોય તો તે તમામ આધાર પુરાવા સાથે તા.20મીના રોજ સવારના 11:00 ગાંધીનગર સ્ટેટ રજીસ્ટ્રારની કચેરી ખાતે સુનાવણી રાખી હોવાનું જાણવા મળેલ છે

 તે દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેમાં આગામી 23મી ઓકટોબરના રોજ સવારે 11:00 અમૂલના સભાખંડમાં ચૂંટણી યોજાશે. ત્યારે જાહેરનામું બહાર પડતાં જ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

   સૂત્રોના જણાવ્યા અનુસાર જો ત્રણ પ્રતિનિધિઓનો અમુલ નિયામક મંડળમાં સમાવેશ થાય અને તેઓને મત આપવાનો અધિકાર આપવામાં આવે તો અમૂલમાં કુલ 18 ડિરેક્ટરો થઈ જાય એ સંજોગોમાં બિનહરીફ વરણી થવાની શક્યતા ધૂંધળી બને છે. તા. 20મીના રોજ કોંગ્રેસના ડિરેક્ટરો પોતાના વકીલ મારફતે ગુજરાત રજિસ્ટર સમક્ષ ઉપસ્થિત થઈને ત્રણ સહકારી પ્રતિનિધિઓની નિમૂણકના સરકારના નિર્ણયનો વિરોધ કરીને તેઓને મત આપવાનો અધિકાર ના આપવામાં આવે તેવી માગણી કરનાર છે. આ સાથે હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવશે તેમ જાણવા મળેલ છે. આ અગાઉ કોંગ્રેસ સમર્પિત ત્રણ ડિરેક્ટરોએ સરકાર દ્વારા કોઈ પ્રતિનિધિઓની નિમણૂક ના કરે તે માટે હાઈકોર્ટમાં દાદ માગી હતી. પરંતુ હાઈકોર્ટે સુનાવણી યોજીને તે સમયે કોઈ સહકારી પ્રતિનિધિની નિમણૂકો ના કરી હોવાની અરજી કટાણે ગણાવીને કાઢી નાખી હતી. તેમજ જો સરકાર દ્વારા પોતાના પ્રતિનિધિઓને મુકવામાં આવે તો હાઇકોર્ટમાં રજૂઆત કરી શકે છે, તેવો નિર્દેશ આપ્યો હતો. જેને લઇ હવે સમગ્ર મેટર કાનૂની દાવપેચમાં સપડાશે તેમ લાગી રહ્યું છે.
  અમુલ ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર લગભગ નક્કી જ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમૂલની સત્તા હસ્તગત કરવા માટે ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂક કરવાનો પ્રસ્તાવ કરી દેવાયો છે. આ સાથે સાથે ફેડરેશનમાંથી એમડીને બદલે ચેરમેનના નામનો ઠરાવ મત આપવા માટે કર્યો છે. આ ચૂંટાયેલા ત્રણ ભાજપના સભ્યો ત્રણ સરકારી પ્રતિનિધિઓ અને બે કાયદાની જોગવાઈ અનુસાર નીમવામાં આવેલ પ્રતિનિધિઓએ મળીને કુલ સંખ્યા 8 પહોંચી જવા પામી છે. જ્યારે કોંગ્રેસ સમર્પિત 7 ડિરેક્ટર છે. રામસિહ પરમાર આમ તો ભાજપના નેતા ગણાય છે અને તેમની પાસે પોતાના વફાદાર એવા બે ડિરેક્ટરો છે. જો રામસિંહ પરમાર કોંગ્રેસ બાજુ ઢળે તો કોંગ્રેસ સમર્પિત ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાય અને જો ભાજપ તરફ ઢળે તો ભાજપ સમર્પિત ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાઇ તેવી પરિસ્થિતિનું નિર્માણ અમૂલમાં થવા પામ્યું છે.

(6:35 pm IST)