Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અંકલેશ્વર પંથકની સગીરાને માતાએ ઠપકો આપતા ઘરેથી ભાગી ગઇઃ બહેનપણી અને મિત્રો સાથે બર્થ-ડે પાર્ટીમાં ગઇ તો ત્યાં દુષ્કર્મ આચર્યુ હોવાની શંકા

ભરૂચ : અંક્લેશ્વરની સગીરા બે દિવસ પહેલાં લાપતા બન્યાં બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મિત્રની બર્થ ડેની પાર્ટીમાં ગયેલી સગીરાઓને દારૂનો નશો કરાવ્યાં બાદ તે સૂઇ જતાં એક તરૂણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત રજૂ કરી છે. હાલમાં અંક્લેશ્વર શહેર પોલીસ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી પાંચેય તરૂણો તેમજ સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવ્યું છે. 

અંક્લેશ્વર પંથકમાં રહેતી એક સગીરાને તેની માતાએ ઠપકો આપતાં તે ઘરેથી ભાગી બહેનપણીને ત્યાં ગઇ હતી. પુત્રી લાપતાં બનતાં તેની માતાએ અંક્લેશ્વર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાનમાં સગીરા ઘરે પરત આવતા તેણે પોતાની સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું કહ્યું હતું. નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરાએ માતાને સઘળી હકીકત જણાવી હતી. ત્યારે વાત પોલીસ સુધી પહોંચતા 5 યુવાનોની અટકાયત કરાઈ છે.

પીઆઇ એફ. કે. જોગલે તેની પુછપરછ હાથ ધરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. સગીરાએ જણાવ્યું હતું કે, તે તેની બહેનપણી સાથે એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી. મિત્રના ઘરે કોઇ ન હોઇ ત્યાં જ બે સગીરા તેમજ પાંચ યુવાનોએ બર્થ ડે પાર્ટી ઉજવી હતી. પાર્ટીમાં તેઓએ દારૂનો નશો કરતાં બંન્ને સગીરાઓએ ઘરે પરત જવાનું ટાળી ત્યાં જ રોકાઇ ગઇ હતી. જે બાદ તેઓ ચિક્કાર દારૂ પીધા બાદ સૂઇ ગયાં હતાં.

સવારે બંન્ને સગીરાઓની બાજુમાં તેમના મિત્રો સૂતેલાં હોઇ સગીરાને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા થઇ હતી. ઘટનાને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે પોક્સો તેમજ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે સગીરાની કેફિયતના આધારે તરૂણ તેમજ સગીરાનું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો દુષ્કર્મ થયું હોય તો તેની કલમો ઉમેરી તે આધારે આગળની તપાસ કરાશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

(5:32 pm IST)