Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પહેલી નજરનો પ્રેમ

૩૬ વર્ષના મુરતિયાએ ૫૨ વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન

વરવધુ વચ્ચે ૧૬ વર્ષનો તફાવત છેઃ અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી

અમદાવાદ, તા.૨૧: સૌરાષ્ટ્રના મોરબીનો લગ્નનો કિસ્સો જેટલો ચર્ચાસ્પદ બન્યો છે તેટલો રસપ્રદ પણ છે. આપણે સાંભળતા આવ્યા છીએ કે પ્રેમ કયારેય નાત જાત રંગ ઉંમર જેવા કોઈ તફાવતને બાધ્ય નથી હોતો. પરંતુ અમદાવાદમાં કોઈએ વિચાર્યુ પણ નહીં હોય કે તેમ એક ૫૨ વર્ષની છૂટાછેડા લીધેલી મહિલાના લગ્ન ૩૬ વર્ષના કુંવારા યુવક સાથે થઈ શકે છે. આ વાત મોરબીની છે. ૩૬ વર્ષના કુંવારા યુવકે છુટાછેડા લીધેલી ૫૨ વર્ષની મહિલા સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કર્યા છે, વરવધુ વચ્ચે ૧૬ વર્ષનો તફાવત છે.

કન્યાના જણાવ્યા અનુસાર, અગાઉ ૨૫ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા જોકે પતિ સાથે મનમેળ ન બેસતાં ૧૨ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. એ પછી ૮૧ વર્ષના વૃદ્ઘ માતા-પિતા સાથે ૨૦ વર્ષ રહી તેમની સેવા કરી હતી. અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી. મહિલાનું કહેવું છે કે વાતચીત દરમિયાન ૩૬ વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

તેમણે જણાવ્યું કે ભલે અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટા તફાવત હોય પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ ધાર્મિક છે અને હું પણ ધાર્મિક છું. જેને લઈને અમારી વચ્ચે મનમેળ બેસી ગયો છે.અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી.

૫૨ વર્ષના મમતાબેન ભટ્ટના જણાવ્યા અનુસાર તેમના ભૂતકાળના લગ્નજીવનથી તેમને કોઈ સંતાન નહોતું. પરંતુ હવે તેઓ ચોક્કસ તમામ પ્રકારના પ્રયાસ કરશે જેથી તેમને ખોળો ખુંદનારું કોઈ મળે અને સંતાન સુખ માણી શકે. તેમણે વધુમાં કહ્યું કે અમે બંને તમામ લોકો સુધી એ વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમર ભલે ગમે તેટલી હોય જીવન જીવવા માટે એક સાથીની જરુર પડે છે અને જો તે મળે તો પછી લાગણી સિવાય બીજી કોઈ બાબતે લેવાદેવા રાખવી જોઈએ નહીં અને સાથે રહીને આનંદપૂર્વક જીવન જીવવું જોઈએ. મમતા બેને કહ્યું કે દ્યણીવાર આપણે જીવનમાં ત્રાસ અને સંકટો વચ્ચે હેરાન થતા હોય છે ત્યારે ઇશ્વર પર શ્રદ્ઘા રાખવી જોઈએ તેઓ ભલે ખુદ નથી આવતા પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલી આપે છે. મારા જીવનમાં પણ ભાવિન તે જ રીતે આવ્યા હોય તેવું લાગે છે.

જયારે મહિલા સાથે લગ્ન કરનાર ૩૬ વર્ષના યુવક ભાવીન રાવલે કહ્યું કે હું તો છેલ્લા ૧૦ વર્ષથી યોગ્ય પત્નીની શોધમાં હતા જે મને સુખમાં દુૅંખમાં સાથ આપે. અમારી વચ્ચે ઉંમરનો તફાવત ભલે રહ્યો પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન છે. હું માનું છું કે લગ્નને કારણે વ્યકિતનાં જીવનમાં નવી આશાનો સંચાર થાય છે. કોઈએ એ સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે. વિચારો સ્વભાવ અને લાગણી તમામ રીતે તેમને જેવી જોઈતી હતી તેવી જ પત્ની મળી છે. દ્યરમાં બધાને સમજાવવામાં દ્યણો સમય લાગ્યો હતો કે તેમની પત્ની વચ્ચે ભલે ઉંમરનો તફાવત રહ્યો પરંતુ મનથી તે સુંદર છે. અને અંતે પરિવારે પણ દીકરાની ભાવનાને સમજીને લગ્ન સંબંધને સ્વીકાર્યો હતો.

(3:52 pm IST)