Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

સીએમ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો

ગાંધીનગરના સેકટર આઠમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે : કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્રઃ આજે મેં વેકિસન લીધી છેઃ સાથે લોકોને અપીલ કરૂ છું કેઃ કોરોના રસીના બંને ડોઝ લે, રસી દ્વારા જ આપણે કોરોનાથી બચી શકીશું

ગાંધીનગર, તા.૨૧: દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે.

કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી શ્રી કહ્યુ હતું કે,કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે ત્યારે હાલ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા.૧લી મે-૨૦૨૧ થી ૧૮ વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે,પ્રવર્તમાન સંજોગોમા બીજુ સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે ૪૫ વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડોકટરની સલાહ મુજબ વેકિસનના બંન્ને ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી છે.આગામી તા.૧ લી મે-૨૦૨૧ થી ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(3:15 pm IST)