Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમિતભાઇ ચાવડા પાયાવિહોણા આક્ષેપો કરે છે, કોંગ્રેસ અમારા ક્‍યા ધારાસભ્‍યને કેટલી ઓફર કરી હતી તે સમય આવશે ત્‍યારે જાહેર કરીશઃ નીતિનભાઇ પટેલ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ સહાય પેકેજ તથા મગફળી ખરીદી અંગે ચર્ચા થઈ હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેબિનેટ બેઠક બાદ કહ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓમાં તબીબી શિક્ષણ માટે નવી મેડિકલ કોલેજો કરવાના કામમાં છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ વધારો થયો છે. ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે. મેડિકલની બેઠકોમાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે ભારત સરકાર તરફથી ભરૂચની સરકારી સિવિલ હોસ્પિટલમાં 150 બેઠક મંજૂર કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધારીને 300 કરવામાં આવશે. પ્રથમ વર્ષે 150 બેઠકોમાં પ્રવેશ આપવામાં આવશે. મેડિકલની બેઠકો ઉપર ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતના નાગરિકો માટે અગત્યની અને આનંદની બાબત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ મંજૂરી આપી હતી, તે પ્રમાણે હૃદયરોગની સારવાર કરતી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલને વધુ મોટી કરવામાં આવી છે. ભારતની સૌથી મોટી હોસ્પિટલનું આગામી 24 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં આ નવજાત શિશુથી માંડીને વૃદ્ધો સુધી કોઈપણ ને હૃદયની તકલીફ હોય તેને સારવાર આપવામાં આવશે. પ્રધાનમંત્રી દિલ્હીથી સવારે 10:30 કલાકે ઈ લોકાર્પણ કરશે.

ગિરનાર રોપવે અને ખેડૂતોને વીજળી અંગે તેઓએ કહ્યું કે, ગિરનારના રોપ-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ભારતનો સૌથી મોટો ઊંચાઈ ધરાવતો રોપવે બનશે. લોકો ગિરનારમાં દસ હજાર પગથિયાં ચઢી શકતા ન હતા, તેના માટે રોપ-વેની આ વિશેષ સુવિધા આપવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોની વર્ષોથી માગણી રહી છે કે દિવસે વીજળી મળે, ત્યારે વીજળી આપવાની વાત પણ સાચી ઠરશે. પ્રથમ તબક્કામાં બેથી ત્રણ હજાર ગામોને દિવસે વીજળી આપવામાં આવશે. કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.

કોંગ્રેસના આક્ષેપો પર નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ બેબુનિયાદ આક્ષેપો કરી રહી છે એ સિવાય કોંગ્રેસ પાસે કોઈ કામ રહ્યું નથી. રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના ધારાસભ્યો લઈ ગયા તેવા કોંગ્રેસના નિવેદન પર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમિતભાઈ આવા પાયાવિહોણા આક્ષેપો કરે છે. કોંગ્રેસમાં આંતરિક વિવાદને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં આપે છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસના પ્રથમવાર રાજ્યસભા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોમાં એ વખતે અસંતોષ ઉભો થયો હતો. રાજીવ શુક્લા અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભરતસિંહ સોલંકીને પસંદ નહોતા કર્યા, ત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ બળવો કર્યો હતો. અમિત ચાવડાને યાદ કરાવવું જરૂરી છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યોએ પણ અમારા ધારાસભ્યોને ઓફર કરી હતી, તે તમામ વસ્તુઓની જાણકારી અમારી પાસે છે. કોંગ્રેસે અમારા કયા ધારાસભ્યને કેટલી રકમની ઓફર  કરી છે તે સમય આવે ત્યારે જાહેર કરવામાં આવશે, હાલ એ સમય નથી.

(5:35 pm IST)