Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

6અમદાવાદમાં 9 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી દૂર કરાયા : 4 નવા વિસ્તારો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં

દક્ષિણ તથા ઉત્તર પશ્ચિમ વિસ્તારના જ ચાર સ્થળો માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં આજે 1137 કોરોનાના કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદ શહેરમાં 165 કેસો નોંધાયા હતા. આમ ગુજરાતમાં આજે પણ એક હજારથી વધુ કેસો નોંધાયા હતા. જયારે અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી દૂર કરાયેલા વિસ્તારોની સામે ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા ઘટી છે. આજે 4 નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે. તેની સામે 9 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા જૂજ છે. અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 100 નજીક પહોંચ્યો છે. આજના માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં દક્ષિણ ઝોન તથા ઉત્તર પશ્ચિમના વિસ્તારો છે. જેમાં ઇન્દ્રુપુરી, મણિનગર તેમ જ ઉત્તર પશ્ચિમ ઝોનમાં એકમાત્ર ગોતા જ છે. તેમાંય વીર સાવરકર હાઇટ્સ/2ના વી અને યુ બ્લોકના અમૂક માળના 24 મકાનોના 100 રહીશો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 108 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 9 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 4 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 108 વિસ્તારોમાંથી 9 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 99 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 4 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 103 રહેવા પામ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના તથા ઉત્તર પશ્ચિમ ઝોનના બંબે વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ઇન્દ્રપુરી, મણિનગર તથા ગોતાના બે વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 22મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(9:54 pm IST)