Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

PDPU દિક્ષાંત સમારોહ : મુકેશ અંબાણીનું સંબોધન

કોવિડમાંથી પણ ભારત શકિતશાળી બની બહાર નીકળશે

ગાંધીનગર, તા. ર૦ :  અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે દિક્ષાંત સમારોહ યોજાયો હતો.આ દિક્ષાંત સમારોહને વડાપ્રધાન મોદી અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી એ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

દિક્ષાંત સમારોહના પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કર્યુ હતું. આ સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંબોધતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે પીડીપીયુ નરેન્દ્રભાઈના આત્મનિર્ભર ભારતના સ્વપ્નની ફળશ્રૃતિ છે. ભારતને ઉર્જા શિક્ષણમાં આત્મનિર્ભર બનાવવા માટેનો આ પ્રયાસ છે. આપણે ફકત ૧૪ વર્ષ જૂના જ છીએ છતાં રાષ્ટ્રીય સ્તરથી લઈને વૈશ્વિક ફલકે આપણે પ્રગતિ કરીશું. તેમણે ઉમેર્યુ કે આગામી સમય ભારતનો છે, કોવિડ પછી દાયકામાં ભારત વિશ્વની ટોચના ત્રણ અર્થતંત્રમાનું એક હશે.

મુકેશ અંબાણીએ ઉમેર્યુ કે શું આપણે પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. આગામી સમયમાં ભારતની ઉર્જાની માંગ પુરી કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે ઉર્જા ક્ષેત્રની અંદર અનેક નવા સંશોધન કરવા પડશે. હું વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવું છું કે તમે સાચા ક્ષેત્રમાં કરિયરનો માર્ગ પસંદ કર્યો છે.

મુકેશ અંબાણીએ ઉમેર્યુ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વનું નવું ગુજરાત નવા ભારતનો પાયો છે, જેનું સુકાન વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના હાથમાં છે. હું વિદ્યાર્થીઓને કહેવા માંગું છું કે તમે જયારે આ કેમ્પસમાંથી બહાર નીકળો ત્યારે તમે ભવિષ્યની કેટલીક ચિંતાઓ સાથે બહાર નીકળશો. ભારત અને તમારા માટે ભવિષ્ય ઉજ્જવળ છે. આપણે અનેક મુસીબતોમાંથી બહાર નીકળ્યા છીએ. કોવિડ-૧૯ પછી થોડા જ સમયમાં ભારત વિશ્વની ટોચની ત્રણ ઇકોનોમી બનશે એવો મને વિશ્વાસ છે.

(1:28 pm IST)