Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જોજો, ઢીલાશ મોંઘી પડશે... મહારાષ્ટ્રને અડીને આવેલ ગુજરાતને પણ કોરોનામાં ફરી લપેટાઇ જતા વાર નહિ લાગે...

રાજકોટ તા. ૨૨ : મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વેકિસનેશન ધીમી ગતિએ દોડી રહ્યું છે.

ગઇરાત્રીની સત્તાવાર યાદી મુજબ ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨૮૩ નવા કેસ સામે આવ્યા છે. સામે ૨૬૪ દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ ૨,૬૧,૦૦૯ દર્દીઓ સાજા થયાં છે. રાજયમાં હાલમાં ૧૬૯૦ એકિટવ કેસ છે. જેમાં૨૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૭.૭૨ ટકા થયો છે. ૨૪ કલાકમાં પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૪૪૦૫ છે. ચૂંટણીનો માહોલ પૂરો થયો છે. અને પાડોશી રાજયોમાં કોરોનાનું સંકટ વધ્યું છે તેથી ગુજરાતને પણ સચેત થઇ જવાની જરૂર હોવાની સર્વત્ર લાગણી જોવા મળે છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૨,૫૪૭ વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને ૫૫,૪૦૯ વ્યકિતઓના બીઝા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું. અત્યાર સુધીમાં રાજયમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

થોડા દિવસ અગાઉ નિષ્ણાંતોએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન કાર્યકર્તાઓ નિયમોનો ભંગ કરતા દેખાયા છે, લોકો કોવિડ ગાઇડલાઇનનું પૂર્ણ પણે પાલન કરે તેવી અપીલ કરી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગઇરાત્રી સુધીમાં અમદાવાદ શહેરમાં ૬૬-ગ્રામ્યમાં ૨, વડોદરા શહેરમાં ૫૭-ગ્રામ્યમાં ૮, સુરત શહેરમાં ૪૬-ગ્રામ્યમાં ૧, રાજકોટમાં ૧૬-ગ્રામ્યમાં ૬ અને કચ્છમાં ૧૧ કોરોનાના કેસ નોંધાયા છે.

(10:22 am IST)