Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વર્ષ ૨૦૨૦માં અપ્રમાણસર સંપત્તીના ૫૦ કરોડના કેસ

ભ્રષ્ટાચાર પર સરકારનો અહેવાલ રજૂ કરાયો : ૨૦૨૧માં ૩૩ કરોડના કેસ : સરકારે તપાસ માટે ખુલ્લો દોર આપતા હજુ કેસની સંખ્યામાં વધારો થવાની શક્યતા

ગાંધીનગર, તા. ૨૨ : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી એસીબી દ્વારા સપાટો બોલાવામાં આવ્યો છે. રાજ્યમાં લાંચિયા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. માટે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે અને તેના વિશે માહિતી આપી છે. સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની કામગીરીનાં આંકડા જાહેર કરતા તેમણે એસીબીની કામગીરી વિશે ડાયરેક્ટર કેશવકુમારે વિગતો આપતા જણાવ્યું કે ૨૦૨૧માં ૩૩ કરોડની અપ્રમાણસરની મિલ્કતોનાં કેસ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦માં ૫૦ કરોડનાં કેસ કરવામાં આવ્યા હતા. સરકારે તપાસ માટે ખુલ્લો દોર આપતા હજુ કેસની સંખ્યામાં વધારો થશે. કેશવકુમારે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૨૫૮ કેસ, ૨૦૧૭માં ૧૪૮, ૨૦૧૮માં ૩૩૨, ૨૦૧૯માં ૨૫૫, ૨૦૨૦માં ૧૯૯ કરપ્શનના કેસ કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં ૪૩૩ વ્યક્તિ, ૨૦૧૭માં ૨૧૩, ૨૦૧૮માં ૭૩૦, ૨૦૧૯માં ૪૭૦, ૨૦૨૦માં ૩૧૦ લાંચિયા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા વિવિધ આંકડાઓ જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે ૯૦ બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે તો જાતીય સતામણીનાં કેસમાં પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં શાસનમાં જે રંજાડ હતી તે દુર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. લેન્ડ ગ્રેબીંગ મુદ્દે પણ કાયદો બનાવવામાં આવ્યો છે. સરકારે ફ્રી હેન્ડ કામ કરી શકાય તે માટે મોકો આપ્યો છે.

ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ મોટી જાહેરાત કરતા રાજ્યમાં ૧૯૯૫થી ચાલુ આર.આર.સેલને નાબુદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં દરેક રેન્જમાં આર.આર.સેલ કાર્યરત હતો. આર.આર.સેલનું વિસર્જન થતાં તેના ફાજલ પોલીસમેનો જુદા જુદા જિલ્લામાં ફળવવામાં આવશે. તેમજ દરેક જિલ્લાના એસ.પી.ને વધુ કાયદાકીય તાકાત આપવામાં આવશે. અત્ર નોંધનીય છે કે તાજેતરમાં થોડા સમય પહેલા અમદાવાદ રેન્જનાં આર.આર. સેલના જમાદારને રુ. ૫૦ લાખના તોડપાણી કાંડમાં પકડવામાં આવ્યો હતો. પ્રેસ કૉન્ફરન્સમાં લેન્ડ ગ્રેબિંગ અંગે મહેસૂલ સચિવ પંકજ કુમારે કહ્યું કે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો. અંગે અત્યારસુધીમાં ૬૪૭ અરજીઓ આવી છે જેની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં ૧૬ એફઆઈઆર દાખલ કરી અને ૩૪ લેન્ડગ્રેબરનો સમાવેશ થાય છે. લાખ ૩૫૦૦૦ ચોરસમીટરથી વધુની જમીન છે. જમીનની જંત્રી કિંમત ૨૨૦ કરોડથી વધારે સંકળાયેલી છે. ૧૬ એફઆઈઆરથી આટલા મોટા પ્રમાણમાં દબાણ થયેલી જમીનોનાં મામલા સામે આવ્યા છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે 'કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે માથાભારે તત્વો માથું ઉંચકે તે માટે લેન્ડગ્રેબિંગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. અંગે સરકારે અધિકારીઓને છૂટો દોર આપ્યો છે. હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે કે ઓછામાં ઓછી ચોક્કસ સજા પડે અને ભ્રષ્ટાચારીઓ પર ધાક બેસાડવી પડે. આવક કરતાં વધુ મિલકતના કેસમાં તો સાત મહિના આઠ મહિના એક કેસમા જતા હોય છે,ત્યારે આવા કેસ માટે જરૂરિયાત મુજબ વધારે સ્ટાફ, સાધનો, ટેકનોલોજી આપણે આપી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ૧૯૯૫થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યક્તિ નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

(8:55 pm IST)