Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજ્યમાં હજુય પણ વરસાદ પડશે તો ખેડૂતોને સહાયરૂપ થવા મન ખુલ્લુ છે : ચોક્કસ સહાય કરશુ : વિજયભાઇ

આપત્તિના સમયે પ્રામાણિકતાથી ખેડૂતોના પડખે ઉભા રહેવું એ અમારો ધર્મ છે : કૃષિ મંત્રી આર.સી.ફળદુ

અમદાવાદ તા. ૨૩ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ખરીફ પાકમાં ખેડૂતો આકાશી ખેતી કરે છે અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં આગામી સમયમાં પણ જો વરસાદ પડશે તો ખેડૂતોને સહાયરૂપ થવા રાજય સરકારનું મન ખુલ્લુ છે, ચોક્કસ સહાય કરીશું.

વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી કિસાન યોજનાના ટૂંકી મુદતના પ્રશ્નમાં સહભાગી થતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ યોજના ખેડૂતોને ઊંચુ પ્રીમીયમ ભરવું ન પડે, એ જ ભાવનાથી જાહેર કરાઇ છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસીડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે. SPRFમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડે એને અછતગ્રસ્ત વિસ્તાર ગણતા હતા. હવે આ યોજનામાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય એને અસરગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્ત્।રમાં કહ્યું કે, આપત્તિના સમયે પ્રામાણિકતાથી ખેડૂતોની પડખે ઊભું રહેવું એ અમારો ધર્મ છે અને એ ધર્મ અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. છેલ્લાં ૨૫ થી ૩૦ વર્ષમાં રાજયના કિસાનોના હિતમાં ખરીફ સિઝન દરમિયાન આપદા આવી હોય એવે વખતે અગાઉની કોઇ સરકારે મદદ ન કરી હોય એવી મદદ અમારી સરકારે કરી છે. ભૂતકાળમાં સરકારોએ ખેડૂતોને ઇશ્વરના ભરોસે છોડી દીધા હતા અમે એમની પડખે ઊભા છીએ. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાજયના ૫૬ લાખથી વધુ નાના-સીમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. એમ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને લાભ આપવામાં આવશે.

આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. અમુક ઋતુમાં થયેલ પાક નુકસાન ૩૩ ટકાથી ૬૦ ટકા માટે પ્રતિ હેકટર રૂ.૨૦ હજાર લેખે વધુમાં વધુ ૪ હેકટર સુધી સહાય ચૂકવાશે. એ જ રીતે ૬૦ ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેકટરદીઠ રૂ.૨૫ હજારની સહાય વધુમાં વધુ ૪ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(1:25 pm IST)