Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અતિવૃષ્ટિ સહાયમાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવા અંગે તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

મુખ્યમંત્રીને સંબોધીને વિરમગામ મામલતદારને આવેદનપત્ર અપાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : ચાલુ ચોમાસાની સિઝનમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે ખેડૂતોનો ઊભો પાક તણાઈ ગયેલ છે અને નાશ પામેલ છે. ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદના કારણે વિરમગામ અને માંડલ તાલુકામાં કૃષિ પાકોને ભારે નુકસાન થવા પામેલ છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે. આ વર્ષે ખરીફ પાકો અને વરસાદ થી થયેલ નુકસાન અંગે  મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં ગૃહ માં રૂ. ૩,૭૦૦ કરોડ ના સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવેલ છે. એમાં દેત્રોજ તાલુકા નો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ અતિવૃષ્ટિથી વધુ અસરગ્રસ્ત વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ નથી. આ વિસ્તારની પરિસ્થિતિ એ છે કે આ ત્રણેય તાલુકાઓમાં થતા વરસાદનું પાણી અને કડી સુધીનું પાણી આ ત્રણેય તાલુકામાં આવે છે જેના કારણે આજ દિન સુધી વિરમગામ અને માંડલ તાલુકાઓમાં ખેતરોમાં પાણી ભરાઇ રહેવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. આથી વિરમગામ અને માંડલ તાલુકાના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કરી આ બંને તાલુકાઓનો સમાવેશ ઉક્ત સહાય પેકેજ માં  થાય તે માટે ની માંગ સાથે બુધવારે વિરમગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરમગામ તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ૧૦ થી ૧૫ દિવસ માં વિરમગામ અને માંડલ તાલુકા નો સહાય પેકેજ માં સમાવેશ કરવામાં નહિ આવે તો ન છૂટકે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને આંદોલન દરમિયાન ખેડૂતોને કોઈ પણ નુકસાન થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ આવેદનપત્રમા જણાવ્યું હતું.  અમદાવાદ જિલ્લા મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ સિંધવ અને વિરમગામ તાલુકા પ્રમુખ દશરથભાઇ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(7:02 pm IST)