Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

એનઓસી મેળવવાની બેદરકારીમાં અમદાવાદ અને ગાંધીનગર મોખરેઃ રાજકોટમાં ફાયર સેફટીના એનઓસીનો 100 ટકા રેશિયોઃ રાજ્‍ય સરકારે પીઆઇએલમાં ખુલાસો કર્યો

અમદાવાદ : એક બાજુ ગુજરાતમાં વિકાસની વાતો થઇ રહી છે અને તેને મોડેલ તરીકે સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ તેવી સ્થિતિ છે. ત્યારે ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે થયેલી PILમાં ગુજરાત સરકારે મહત્વનો ખુલાસો કર્યો છે.

રાજ્ય સરકારે ખુલાસો કરતા જણાવ્યું કે, “NOC મેળવવાની બેદરકારીમાં અમદાવાદ અને ગાંધીનગર મોખરે છે. હાલમાં રાજ્યમાં રાજકોટમાં ફાયરસેફ્ટીના NOCનો રેશિયો 100 ટકા છે. જ્યારે ગાંધીનગરની 709 પૈકી 587 ઇમારતો પર ફાયર સેફ્ટીનું NOC નહીં. અમદાવાદમાં 18 હજાર 912 ઇમારતો પર ફાયર સેફ્ટીનું NOC નહીં. સુરતમાં 7 હજાર 279 ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નહીં અને વડોદરામાં 858 પૈકી 68 ઇમારતો પાસે ફાયર સેફ્ટી NOC નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના છ કરોડ નાગરિકોને આગની દુર્ઘટનાથી બચાવવાનો મદાર ફાયર સેફ્ટી પર હોય છે. પરંતુ રાજ્યમાં ફાયર સર્વિસમાં અધિકારીઓ અને ફાયરમેનને થઈને 40 ટકા જેટલી જગ્યા ખાલી છે. તેમાં પણ રાજ્યનાં આઠ મહાનગરોની તો ફાયર સેફ્ટીના મોરચે  સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સંજોગોમાં લોકોના જીવનને બચાવવાની આશા ક્યાંથી રખાય. જો NOC મેળવવાની બેદરકારીમાં અમદાવાદ અને ગાંધીનગર મોખરે હોય તો બની શકે કે આગામી સમયમાં નારણપુરાની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડ જેવી જ દુર્ઘટના ફરી અમદાવાદમાં સર્જાય તો નવાઇ નહીં.

નોંધનીય છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ આ અંગે આદેશ આપ્યો હતો પરંતુ સરકાર તેનું પાલન જ કરી શકી નથી. રાજ્યમાં કુલ 170થી વધારે નગરપાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડમાં પાયાની સુવિધા જ નથી. સરકાર દ્વારા ફાયર સેફ્ટી અંગે જાહેરાતો ફક્ત કાગળ પર જ છે. ફાયર વિભાગના મહેકમ સહિત અન્ય વ્યવસ્થાનું કોઈ આયોજન જ નથી.

(4:56 pm IST)