Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન બદલ ભુપેન્દ્રસિંહનું સન્માન કરાયું

ભુપેન્દ્રસિંહના ધારાસભ્ય પદ પર જ સવાલ છે : ૨૦૧૯ માટે વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સન્માનિત

ગાંધીનગર,તા.૨૪ : દેશ ની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ  તરીકે  ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા  સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભા માં  સન્માનવા ની પરંપરા છે. ભારતીય સંસદ ના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ ૨૩ સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવેલા છે.ગુજરાત વિધાન સભાએ આ પ્રણાલીને અનુસરતા શ્રેષ્ઠ વિધાનસભ્ય ના એવોર્ડ આપવાની પ્રથા શરુ કરી છે. ગુજરાત વિધાનસભા માં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની તા. ૨૮/૨/૨૦ ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. તદનુસાર રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ષ ૨૦૨૦ માટે અને  વર્ષ ૨૦૧૯ માટે વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.ગુજરાત વિધાન સભા ના હાલ ચાલી રહેલા સત્ર ના  ચોથા દિવસે આ બેય સભ્યો ને વિધાન સભા ગૃહ ના નેતા અને મુખ્યમંત્રી વિજય  રૂપાણી વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ વિધાન ગૃહ ના સભ્યો ની ઉપસ્થિતિ માં શ્રેષ્ઠ વિધાયક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત વિધાન સભા માં આ નવિન પરંપરા શરૂ કરવા માટે વિધાન સભા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે વિધાન સભા અને લોક સભા એ દેશની લોકશાહી ના મૂલ્યો ના જતન અને તેને સાચવવા સંવર્ધન માટે ના સવોર્ચ કેન્દ્રો છે તેને લોકશાહી ના મંદિર કહેવાયા છે ત્યારે એ મંદિર માં બેસનારા સૌ નું વર્તન વિચાર વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવા હોય કે એ બધા માટે  માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને. વિજય રૂપાણી એ ગુજરાત વિધાન સભા માં શરુ થયેલી આ પ્રણાલી આવનારા દિવસોમાં વધુ ઉજ્જવળ બનશે તેમજ પ્રજાના પ્રતિનિધિઓ માટે એક નવી પરિપાટી ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના રાજ્ય સભાના સભ્ય તરીકેના કાર્યકાળ નું સ્મરણ કરતાં કહ્યું કે સારા સાંસદ કે વિધાયક બનવા માટે સારા શ્રોતા અને ગૃહમાં નિયમિત હાજરી, અવલોકન શક્તિ આવશ્યક છે. આવા સભ્ય જ્યારે કોઈ રજૂઆત કરે કે ચર્ચાને અંતે સહભાગી થાય ત્યારે સચોટતા અને બારીકાઇ થી રજૂઆત કરતા હોય છે.આ સંદર્ભમાં મુખ્ય મંત્રીએ પ્રજાના સૌ પ્રતિનિધિઓ, ગૃહના સભ્યોને આ માર્ગે અનુસરવા અપીલ પણ કરી હતી. તેમણે આ બેસ્ટ પાર્લામેન્ટરિયન એવોર્ડ એ ગુજરાત વિધાનસભાનું અને ઉચ્ચ લોકશાહી મૂલ્યોનું ગૌરવ દેશભરમાં વધારશે એવી શ્રદ્ધા દર્શાવી હતી.

(9:02 pm IST)