Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજ્યમાં ૩૬૨ જેટલા પી.જી. રેસિડેન્ટ ડોક્ટરોને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા તજજ્ઞ તબીબો તરીકે નિમણૂક અપાઈ

કૉવિડ -19 નોટિફાઇડ હોસ્પિટલોમાં સેવાઓ આપનાર તબીબોને બૉન્ડના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા ભારે છૂટછાટ

અમદાવાદ : રાજ્ય સરકારે કૉવિડ-19 પેન્ડેમિક સમયગાળામાં રાત - દિવસ જોયા વિના કામ કરી રહેલા તબીબોની  કામગીરીની  સહાનુભૂતિપૂર્વક સરાહના કરી છે. એટલું જ નહીં ૩૬૨ જેટલા પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ ઇયર પાસ આઉટ રેસિડેન્ટ ડોક્ટરોનું તેમની મેડિકલ કોલેજોમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ કરીને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા તજજ્ઞ તબીબો તરીકે નિમણૂક આપવામાં આવી છે.
  આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેવા તબીબોને બોન્ડ અન્વયે બજાવવાની થતી સેવાઓમાં પણ સારા એવા પ્રમાણમાં છૂટછાટો આપી છે. બોન્ડ અન્વયે તબીબોને ગ્રામ્ય કક્ષાએ સેવા બજાવવાની થાય છે, તેને બદલે કૉવિડ-19 અંતર્ગત નોટિફાઇડ હોસ્પિટલની સેવાઓને પણ બોન્ડ સેવા તરીકે ગણવામાં આવશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર કોઈપણ તબીબ દ્વારા કૉવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં આપવામાં આવેલી સેવાઓને બમણા સમયગાળાની બોન્ડ સેવા તરીકે ગણતરીમાં લેશે.
  આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ બોન્ડેડ તબીબે અગાઉની સેવા અધુરી છોડી દીધી હોય અને જો આવા તબીબ કૉવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં સેવાઓ બજાવે છે તો તેમની સેવાઓ પણ સળંગ કરી આપવામાં આવશે.  કોઈપણ તબીબ દ્વારા ત્રણ વર્ષનો બોન્ડ આપવામાં આવ્યો હોય તો તેઓ તેનું એક વર્ષના બોન્ડમાં રૂપાંતરણ કરાવીને માત્ર છ મહિના માટે કૉવિડ-19 નોટિફાઇડ હોસ્પિટલમાં સેવા બજાવશે તો પણ બોન્ડ મુક્ત થઈ શકશે

(6:40 pm IST)