Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અનેક પ્રશંસનિય કામગીરી કરી ચુકેલા રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં બેસ્ટ પીઆઇનો એવોર્ડ મેળવી ચુકેલા

પોલીસ ઇન્સ્પેકટર એચ. એમ. ગઢવીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનઃ ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ

૯૯ની સાલમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થવાથી માંડી હાલ પીઆઇ સુધીની સતત ઝળહળતી કારકિર્દી

રાજકોટ તા. ૨૫: શહેરની અત્યંત મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાંચમાં અગાઉ ચાર વર્ષ સુતી ખુબ જ પ્રસંશનિય અને નોંધપાત્ર ફરજ બજાવી બેસ્ટ પીઆઇનો એવોર્ડ મેળવી ચુકેલા અને હાલમાં ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી હિતેષદાન એમ. ગઢવીની ઝળહળતી કારકિર્દીને ધ્યાને લઇ તેમની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતાં બહોળા અધિકારી વર્ગ મિત્રો, મિડીયા મિત્રો, પરિવારજનો, સાથી કર્મચારીઓ તરફથી તેમના પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

રાજકોટ શહેરમાં પોતાના ફરજકાળ દરમિયાન સોૈથી વધુ નોંધનીય અને પ્રજાલક્ષી કામગીરી માટે જાણીતા બનેલા પીઆઇ એચ. એમ. ગઢવી અઢાર વર્ષના થયા ત્યાં જ પોલીસ ખાતામાં જોડાઇ ગયા હતાં. મુળ મોરબીના હળદવ તાબેના ચાડતરા ગામના વતની હિતેષદાન સુરત તેમના મોટા ભાઇ જયરાજભાઇ ગઢવી સાથે રહેતાં હતાં ત્યારે એટલે કે ૧૯૯૯માં સુરતમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતાં. તેમના ભાઇ હાલમાં પોરબંદર ખાતે પીએસઆઇ છે. છ વર્ષ કોન્સ્ટેબલ તરીકે નોકરી કર્યા પછી ૨૦૦૭માં એચ. એમ. ગઢવી પીએસઆઇમાં  ભરતી થયા હતાં અને વારાહીમાં પ્રથમ પોસ્ટીંગ મળ્યું હતું. એ પછી કામગીરીની નોંધ લઇ તેમને ૨૦૧૦-૧૧માં પાટણ એસઓજીમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે નિમણુંક આપવામાં આવી હતી.

ત્યારબાદ પાલનપુર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ તરીકે પણ તેમની ફરજ સતત નોંધનીય રહી હતી. વર્ષ ૨૦૧૪થી ૧૬ અઢી વર્ષ સુધી આરઆર સેલ વડોદરા ગ્રામ્યમાં પણ પ્રશંસનિય કામગીરી કરી હતી. એ પછી ૨૦૧૬થી ૨૦૨૦ એમ ચાર વર્ષ સુધી તેઓ શહેર ક્રાઇમ બ્રાંચમાં એક પછી એક નોંધનીય અને ઉડીને આંખે વળગે તેવી પ્રજાલક્ષી કામગીરી કરતાં રહ્યા હતાં. ભલભલા ગુનેગારોને તેમણે ઉચ્ચ અધિકારીઓ શ્રી અનુપમસિંહ ગહલોૈત અને શ્રી મનોજ અગ્રવાલ, ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અને બીએસએફના શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતની રાહબરી હેઠળ ભોં ભેગા કરી દીધા હતાં. સનસનાટી મચાવતા હત્યાકાંડ, રેપ કાંડ,  નામીચા ગેંગસ્ટરના સાગ્રીતોને પકડવાની કામગીરી સહિતના અને ચર્ચાસ્પદ બનાવોમાં ગુનેગારોને શોધી કાઢી કાયદાનું ભાન કરાવવાની કાર્યવાહીમાં સતત અગ્રેસર રહ્યા હતાં. આ કારણે તેઓ રાજકોટ શહેરમાં પ્રજાજનોમાં પણ સારા અધિકારીની છાપ ઉભી કરવામાં સફળ રહ્યા હતાં. હાલમાં ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતાં શ્રી એચ. એમ. ગઢવીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયાના વાવડથી તેમના પરિવારજનો, ભાઇ, ધર્મપત્નિ દિપ્તીબેન ગઢવી, સંતાનોની ખુશી સાતમા આસમાને છે. શ્રી ગઢવીને આ સન્માન બદલ (મો.૯૯૧૩૬ ૮૭૫૦૦) સતત શુભકામનાઓ મળી રહી છે. પોતાને મળેલા આ સન્માનનો જશ તેઓ વડિલોના આશીર્વાદ, ઉચ્ચ અધિકારીઓનો માર્ગદર્શન હેઠળ થયેલી સફળ કામગીરીઓ અને ધર્મપત્નિ સહિતના સ્વજનો તરફથી મળેલા સહકારને આપી રહ્યા છે.

(3:36 pm IST)