Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ ચેતી જજો : સરકાર આવા લોકોને સાંખી લેશે નહીઃ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ.

લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા રાજય સરકારનો નિર્ણય:ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ:¤જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ સમિતિની રચના.

અમદાવાદ : મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે આવા તત્વો ચેતે સરકાર તેમને સાખી લેશે નહી એમની સામે કડકમાં કડક કાર્યવાહી  કરાશે

.મંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટી અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે વિવિધ મહેસુલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા ભૂમાફીયા તત્વો સામે કડકાઈથી પેશ આવવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. 

  આજે ગુજરાત વિધાન સભા ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020 અંગે વિધેયક રજૂ કરતાં મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ હતું કે,  રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં શહેરો-નગરો-મહાનગરોની સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઉદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020 નવું સિમાચિન્હ્ બનશે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઉદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ગરીબ માનવીને એમની જમીન નાણાં પૂરે પૂરા મળે અને અસામાજીક તત્વો ખોટી રીતે જમીન પચાવી ન પાડે એટલે આ કાયદો જરૂરી હોઈ આ વિધેયક લાવવામાં આવ્યું છે.

  મંત્રીએ ઉમેર્યુ હતું કે, ખાસ કરીને રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલીકીની કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપીપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આવી પ્રવૃત્તિ ડામવામાં પણ આ વિધેયકથી રક્ષણ મળશે.

  એજ રીતે રાજ્ય સરકારને પણ ધરતીપુત્રોની તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો વખતો વખત મળેલ છે. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે. આ કારણે કેટલીકવાર રાજ્ય સરકાર માટે કાયદો અને વ્યવસ્થા સંબંધી પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. તે સંજોગોમાં કોઇપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવા પર આ કાયદાથી સખત પ્રતિબંધ મુકાયેલ છે અને આવી પ્રવૃત્તિને રાજ્ય સરકારે ગેરકાયદેસર જાહેર કરેલ છે.  આ કાયદાની જોગવાઇઓની વિગતો આપતા મંત્રીએ કહ્યું કે,  કલમ-2(ક) હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની સમિતિ બનશે. તેમજ કલમ-12 (ખ) હેઠળ આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.

  આ કાયદાની જોગવાઇઓની વિગતો આપતા મંત્રીએ કહ્યું કે,  માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે અને દોષીત ઠરેથી કાયદાની કલમ-4(3) મુજબ, ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. કલમ-7 મુજબ, વિશેષ કોર્ટની રચના કરવામાં આવશે. જે વિશેષ કોર્ટ કલમ-9માં મળતી સત્તાથી આપમેળે અથવા કોઈ વ્યક્તિની અરજી ઉપરથી અથવા જિલ્લા કલેક્ટરએ અધિકૃત કરેલાં કોઈ અધિકારી દ્વારા કરાયેલ અરજી પરથી આ વટહુકમના આરંભના પહેલા અથવા પછીના જમીન પચાવી પાડવાના કૃત્ય સંબંધી દરેક કેસની ન્યાયિક નોંધ લઈ શકશે અને તે અંગેની અદાલતી કાર્યવાહી કરી શકશે અને પોતાને યોગ્ય લાગે તેવા હુકમો કરી શકશે.
  રાજ્યમાં આ એકટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે.
  મંત્રીએ ઉમેર્યુ હતું કે, આ કાયદાના પરિણામે જમીન પચાવી પાડી તેમાં વેચાણ કરી દેવાનો કે આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનારા આ કાયદાના સકંજામાં આવવાથી જન સમાજ જમીન માલીકીના હક્કો ચિંતામુક્ત થઇ ભોગવી શકશે. વધુમાં ખેડૂતો, ધાર્મિક, સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે.

  મંત્રીએ ઉમેર્યુ હતું કે,રાજ્યમાં મહેસૂલી સેવાઓના સરળીકરણ માટે સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને ફેઇસ લેશ વ્યવસ્થાઓ વિકસાવેલી છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી સુધારા કરીને કૃષિ, પશુપાલન, આરોગ્ય અને ઇજનેરી શિક્ષણ તેમજ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જમીનોના ખરીદ-વેચાણની સુગમતા કરી આપી પારદર્શીતા અને નિર્ણાયકતાની જન અનુભૂતિ કરાવી છે. આના પરિણામે, હવે જમીન ધારકને પોતાની ખેતી, બિનખેતી જમીનની સમયાનુકુલ યોગ્ય કિંમત મળતી થવાની છે ત્યારે જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા તત્વોને નાથી સાચા હક્કદાર જમીન માલિકોને યોગ્ય કિંમત અપાવી આર્થિક આધારનો નવતર અભિગમ અપનાવવા પહેલરૂપ નિર્ણય કર્યો છે.

  રાજ્ય સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે  તેમ જણાવી મંત્રીએ ઉમેર્યુ હતું કે,આ કાયદાની જોગવાઇઓ તાત્કાલીક ધોરણથી અમલમાં આવશે. જેના અસરકારક અમલીકરણથી જમીનોનો ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીનો ઉપર બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી જશે.  ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક -2020 ની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ એકટમાં એવી કડક જોગવાઇઓ કરવામાં આવી છે કે,  રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે. આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી-પારદર્શી તપાસ-સુનાવણી માટે તેમજ ભૂમાફિયાઓને કડક સજા માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે. આવી વિશેષ અદાલત વધુમાં વધુ કેસોમાં  કેસ અદાલતમાં દાખલ થયાના શક્યતઃ 6 મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્ય સરકાર કેસોની ઝડપી સુનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક કરશે. આવી વિશેષ અદાલત સુઓ મોટો (suo moto) લઈ જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે.

 મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020  ની જોગવાઇ મુજબ કલમ-5 હેઠળ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી, અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પુરૂ પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ 10 થી 14 વર્ષ સુધીની સખત કેદ અને જંત્રી કિંમત સુધીનો શિક્ષાત્મક દંડ ભરવો પડશે. આ ઉપરાંત આવી હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/ હસ્તક લેનારાની પણ એટલી જ સજા થશે. રાજ્ય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી પારદર્શક, સરળ અને ઝડપી ન્યાય મળશે. આ વિધેયક વિધાનસભા ખાતે પસાર કરવામાં આવ્યું હતું.

(9:25 pm IST)