Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ભરૂચ-દહેજ હાઇવે પર અકસ્માત : ત્રણના મોત

વેપારીની પીક અપ વાનનો ટ્રક સાથે અકસ્માત : અન્ય ૩ લોકોની ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભરૂચ,તા.૨૫ : રવિવારનો દિવસ ખરીદી કરવા જઈ રહેલા અંકલેશ્વરના વેપારી પર કાળ બનીને આવ્યો હતો. હોંશે હોંશે બજાર જવા નીકળેલા વેપારીને ભરૂચ-દહેજ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દહેજમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જ્યાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ બજારમાં કપડાથી લઈને ઘરવખરીની ચીજો મળી આવે છે. તો વેપારના અર્થે પણ આ બજાર મહત્વનું બની જાય છે.

                ત્યારે અંકલેશ્વરના એક વેપારી આ બજારમાં જઈ રહ્યા હતા. ત્યારે ભરૂચ-દહેજ હાઈવે પર વેપારીની ગાડીને અકસ્માત નડ્યો હતો. તેમની પીક અપ વાનને ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો અન્ય ૩ લોકોની ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની વધુ વિગતો હજુ આવી નથી. અકસ્માતથી રસ્તા પર અરેરાટીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મૃતદેહો આમતેમ ફંગોળાયેલા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી.

(7:27 pm IST)