Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ ખાતે ત્રણથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ

નદીના પટમાં લારી ગલ્લા અને ફેરિયાઓ માટે પ્રતિબંધ:તર્પણ વિધિ માટે આવતા લોકોએ ફરજિયાત માસ્ક પહેરવુ:કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું

પાટણ : રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટ ખાતે 30 નવેમ્બરને કારતક સુદ પુનમ સુધી લોકો તર્પણ વિધિ જેવી ધાર્મિક વિધિમાં બહોળા પ્રમાણમાં આવતા શ્રદ્ધાળુઓ પર જરૂરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ત્રણથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સાથે તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવું અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કપડાથી મોંઢુ અને નાક ઢાંકીને રાખવાનું રહેશે. આ પ્રમાણે નહીં કરનારા લોકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસુલ કરવામાં આવશે. સ્થળ પર દંડની ભરપાઈ કરવામાં નહીં આવે તો ભારતીય દંડ સંહિતા(IPC) 1860ની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત ખાનગી વાહનો, ઓટો રીક્ષા, કેબ વગેરેમાં ડ્રાઈવર સહિતના પ્રવાસીઓની સંખ્યા અંગેની સરકારની વખતોવખતની સૂચનાઓથી નિર્ધારીત કર્યા મુજબ ઓટો રીક્ષામાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે યાત્રી, પરિવારના ઉપયોગ માટેના ખાનગી વાહનમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર 3 વ્યક્તિઓ, ટુ-વ્હિલર પર ચાલક સહિત મહત્તમ બે વ્યક્તિઓ તથા કેબ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સમાં ડ્રાઈવર ઉપરાંત 3 વ્યક્તિઓ તેમજ જો બેઠક ક્ષમતા 6 કે તેથી વધુ હોય તો ડ્રાઈવર ઉપરાંત 4 વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે. આ દરેક કિસ્સામાં ડ્રાઈવર સહિતના યાત્રીઓએ ફેસ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે.

 

સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્ણિમા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને કોવિડ 19નું સંક્રમણ ન ફેલાય તે હેતુથી માધુ પાવડિયા ઘાટ, તે તરફથી ચતુર્દિશામાં જતા તમામ માર્ગોના 1 કિલોમીટરના વિસ્તારમાં તથા સરસ્વતી નદીના પટમાં ચા-નાસ્તો, જમવાનું, રમકડા વગેરેના લારી-ગલ્લા અને ફેરિયાઓ માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

(10:09 am IST)