Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વડતાલ ધામમાં માદ્યપુર્ણીમાએ દિવ્ય અને ભવ્ય શાકોત્સવની દ્વિશતાબ્દી હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી

સંપ્રદાયના 20 હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી

વડતાલ : અક્ષરધામતુલ્ય વડતાલ ધામમાં માદ્યપુર્ણીમાએ દિવ્ય અને ભવ્ય શાકોત્સવની દ્વિશતાબ્દી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. સંપ્રદાયના 20 હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

  ભગવાન શ્રી હરિએ આજથી 200 વર્ષ પૂર્વે લોયામાં સુરાખાચરના દરબારમાં દિવ્ય શાકોત્સવ ઉજવ્યો હતો. જેની પરંપરા રૂપે સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું અનેરૂ મહાત્મય છે. સવારે મંગળા આરતી બાદ વડતાલમાં બીરાજતા દેવોને શાકોત્સવનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. ભગવાન સન્મુખ 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં 56 પ્રકારના રોટલા, 27 જાતના દહી, 18 જાતના મરચા, 15 પ્રકારની ચટણી અને 56 શાક ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શનનો લાભ લઇ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.   

  ભોજનાલયમાં શાકોત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, સત્સંગમહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશસ્વામી, આસી. કોઠારી. ડો.સંતવલ્લભસ્વામી, ગોવિંદસ્વામી, સ્વરૂપાનંદબ્રહ્મચારી સહિત સંપ્રદાયના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય મહારાજ તથા સંતોદ્વારા લોયાના શાકોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું.

  આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આર્શિવચન પાઠવતા જણાવ્યું હતું કે વડતાલનું ભોજનાલય સંપ્રદાયનું પ્રથમ અને શ્રેષ્ઠ ભોજનાલય છે. સુવિધાસજ્જ એવું આ ભોજનાલય સ્વચ્છતા અને સુઘડતાની દ્રષ્ટીએ પણ ગુજરાતમાં ખ્યાતનામ છે. વડતાલ મંદિરના ભોજનાલયની સુવિધાઓ અને પીરસાતા આરોગ્ય પ્રદ પ્રસાદભોજનથી નેતાઓ-અભિનેતાઓ રાજકારણીઓ અને હરિભક્તો પ્રભાવીત છે. 1 લાખ ચો.ફુટ જગ્યામાં પથરાયેલા આ 3 મંઝલી ભોજનાલયમાં એક સાથે 15,000 યાત્રીકો ભોજન લઇ શકે તેવી સુવિધા છે. પીવાના પાણી માટે આરોપ્લાન્ટ છે, આધુનીક ડાયનીંગ ટેબલ છે. વડતાલ ટ્રસ્ટી મંડળ તથા ચેરમેન દેવપ્રકાશસ્વામી, આસી. કોઠારી  સંતવલ્લભદાસજી, ભંડારી શ્યામવલ્લભસ્વામી, મુનીસ્વામી, હરિભક્તોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સદેવ તત્પર રહે છે. ટુંક સમયમાં હજુ વધુ સુવિધાઓ પ્રાપ્ત થનાર છે. રાજ્ય સરકાર પણ વડતાલની જનસેવાની પ્રવૃત્તિઓથી પ્રભાવીત છે

  ચેરમેન દેવપ્રકાશસ્વામી સંપ્રદાયના એક નમ્ર અને વિકાસશીલ સંત છે. ભોજનાલયમાં પણ દેવનો પ્રભાવ આશ્ચર્યની વાત તો એ છે કે વડતાલના ભોજનાલયમાં હજ્જારો ભાવીકો એક સાથે ભોજન માણે છે. છતાંય ક્યાંય પડાપડી નહીં અને બેસવા કે જમવા બાબતે કોઇ તકરાર નહીં. આને કહેવાય દેવનો પ્રભાવ. વડતાલ પ્રતીનો ભાવીકોનો ભાવ તથા ભોજનાલયના કર્મચારીઓ પણ શીસ્તબંધ સેવાસૈનીકો છે. તેમના વાણી વર્તન અને સાથે સ્વચ્છતા પણ ભંડાણી મુનીવલ્લભસ્વામીની હંમેશ દ્રષ્ટી હોય છે. અદ્યતન ભોજનાલયમાં પીરસાતા ભોજનમાં રોજ મીઠાઇ પણ પીરસાય છે. અને સત્સંગીઓને ભાવપૂર્વક જમાડાય છે. ભાવીકોને પીરસનાર કર્મચારીગણ પણ તાલીમબદ્ધ અને વિનમ્ર છે

  આખા ભોજનાલયની સંપૂર્ણ જવાબદારી પૂજ્ય મુનીવલ્લભદાસજી સંભાળી રહ્યા છે. તેમની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ જમણવારની આ પ્રવૃત્તી ચાલે છે. માસિક અંદાજે દોઢ લાખ હરીભકતો આ ભોજનાલયનો લાભ લઇ પ્રભાવીત થયા છે. રાજ્ય સરકાર અને રાષ્ટ્રીયનેતાઓએ પણ આ પ્રવૃત્તિથી રાજી થઇ વડતાલ મંદિરની સેવાઓને બીરદાવી છે. અમદાવાદ દેશના અગ્રણી સંતો પુરૂષોત્તમપ્રકાશસ્વામી, છપૈયાના મહંત બ્રહ્મચારી વાસુદેવાનંદજી વડતાલ દર્શને પધાર્યા હતા. તેઓએ ડો.સંતસ્વામી સાથે વડતાલ મંદિરના ભોજનાલયની મુલાકાત લઇ અહીંની સુવિધાઓ નીહાળી પ્રભાવીત થયા હતા. પૂ.જ્ઞાનજીવનદાસજીસ્વામી (કુંડળ), ભુજના કોઠારી જાદવજીભગત તથા વયવૃધ્ધશાસ્ત્રી હરિપ્રકાશદાસજી (ગાંધીનગર) એ પણ ભોજનાલયની મુલાકાત લઇ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર શાકોત્સવનું આયોજન શ્યામસ્વામીએ કર્યું હતું.

વડતાલના શાકોત્સવ નિમિત્તે વડતાલ તેમજ આજુબાજુના ગામોની 750 ઉપરાંત બહેનો દ્વારા શુક્રવાર રાતથી ચુલા ઉપર રોટલા બનાવવાની સેવામાં જોડાયા હતા. આચાર્ય મહારાજે શાકોત્સવની પુષ્પવૃષ્ટી કરી આર્શીવાદ પાઠવ્યા હતા. વડતાલ પીઠાધીપતી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ સંતો સાથે ભોજનાલયમાં પધાર્યા હતા. જયાં આચાર્યમહારાજ તથા સંતો દ્વારા શાકોત્સવ તેમજ વિવિધ ફરસાણ ઉપર પુષ્પવૃષ્ટી કરી ભક્તોને આર્શિવાદ પાઠવ્યા હતા.

શાકોત્સવમાં વપરાયેલ સામગ્રી

   
ગુલાબી રીંગણનું શાક 130 મણ 
બાજરીના રોટલા 45 મણ
ઘઉંની રોટલી 15 મણ
ચુરમાના લાડુ 50 મણ
તજ-લવીંગ અને વિવિધ શાકથી વઘારેલી ખીચડી 45 મણ
કઢી 1500 લીટર
તાજી છાસ 2500 લીટર
આથેલા મરચા 100 કીલો
પાપડ-પાપડી (તરેલા) 60 કીલો
(7:39 pm IST)