Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પતિ દરરોજ ઈચ્છા વિરૂદ્ધ સંબંધ બાંધવા મજબૂર કરતો

મહિલાની વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : લગ્નના બીજા દિવસે સાસરિયાઓએ કરિયાવર, દાગીના ઓછા આવ્યા છે કહી દહેજ બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું

અમદાવાદ,તા.૨૬ : શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસરીયાઓ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો આક્ષેપ છે કે તે યુનિવર્સિટીમાં ટોપ પર હોવા છતાં પણ તેને તેના સાસરિયાઓ નોકરી કરવા દેતા ન હતા અને એક વખત જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી ત્યારે તેના પતિએ માર્કશીટ ફાડી નાખી હતી. આટલું નહીં જે સ્કૂલમાં આ મહિલા નોકરી કરતી હતી ત્યાં તેનો પતિ પ્રિન્સિપાલ ને મળવા પહોંચી ગયો હતો અને આ મહિલા એચઆઇવી પોઝિટિવ હોવાનું જણાવી તેના ચારિત્ર્ય બાબતે વિચિત્ર વાતો કરી હતી. એટલું જ નહીં તેનો પતિ ફોજમાં હોવા છતાં પણ દારૂ પીને અવારનવાર અલગ અલગ પ્રકારની માગણીઓ કરી ન કરવાના કામ કરતો હતો.

જ્યારે આ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો ત્યારે તેને રાખવા માટે સાસરિયાઓએ ૨૦૦૦ રૂપિયા પણ નક્કી કર્યા હતા. એટલું જ નહીં સાસરિયાઓ મહિલાને તુને કોનસા વીર અર્જુન પેદા કર કે દિયા હૈ કે તેરી સેવા કરે તેરે ઓર તેરી લડકીઓકે ખર્ચ ઉઠાએ હમ. આવા મહેણાં મારી ત્રાસ ગુજાર્યો હતો. જેથી કંટાળીને ૪૯ વર્ષીય મહિલાએ તેના સાસરિયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી ૪૯ વર્ષીય મહિલા તેની બે પુત્રી તથા માતા-પિતા સાથે ઘણા વર્ષોથી રહે છે. તેના લગ્ન વર્ષ ૧૯૯૦માં અમદાવાદ ખાતે થયા હતા. લગ્નના બીજા જ દિવસે મહિલાના સાસરિયાઓએ કરિયાવર, ચીજવસ્તુ, દાગીના ઓછા આવ્યા છે તેમ કહી દહેજ બાબતે આ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને આ તમામ વસ્તુઓ તેના સાસરિયાઓએ પોતાના કબજામાં લઇ લીધી હતી.

જ્યારે મહિલા ના લગ્ન થયા ત્યારે તે અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે બી.એસ.સી.માં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેનો પતિ બીએસએફમાં શિલોંગ મેઘાલય ખાતે પોસ્ટિંગ પર હતો. જેથી લગ્ન બાદ દસ દિવસ સુધી તેના પતિ ગામમાં રોકાયો હતો અને બાદમાં મેઘાલય ખાતે તેની નોકરીએ હાજર થયો હતો. અને આ મહિલાને તેના પતિ તથા પરિવાર ના કહેવાથી પિયરમાં વધુ અભ્યાસ માટે અમદાવાદ ખાતે મૂકી આવ્યા હતા અને જ્યાં સુધી અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી મહિલાને અમદાવાદ રાખવામાં આવી હતી અને અભ્યાસનો તમામ ખર્ચ પણ આ મહિલાના માતા-પિતા દ્વારા આપવામાં આવતો હતો.

આ મહિલાના પતિની ગેરહાજરીમાં તેની સાસુ સસરા તથા જેઠ જેઠાણી અને નણંદ તમામ લોકો પ્રસંગો પાત રાજસ્થાન ખાતે જતા ત્યારે જણાવતા કે તારા પતિ હાજર હોય ત્યારે જ અહીંયા આવવાનું નહીંતર આવવાનું નહીં. જેથી આ મહિલા તે સમયે ગભરાઈ ગઈ હતી અને આ બાબતની જાણ તેને તેના પતિને કરતાં તેના પતિએ જણાવ્યું કે પરિવારજનો જેમ કહે તેમ જ કરવું પડશે. આ મહિલા તે સમયે અમદાવાદ ખાતે રહેતી હોવાથી તેણે પહેરવા માટે તેના દાગીના માંગ્યા હતા પરંતુ તેના સાસરિયાઓએ તેને આપ્યા ન હતા. લગ્ન બાદ પણ આ મહિલાના પતિ ના તમામ ખર્ચ મહિલાના માતા પિતાએ કર્યો હતો. એક તરફ સાસરિયાંનો ત્રાસ હતો ત્યાં બીજી તરફ આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહિલાએ એમ.એસ.સી પ્રથમ શ્રેણી એ પાસ કર્યું હતું અને યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું.

અભ્યાસ પૂરો થતાં આ મહિલા સાથે રહેવા ગઈ હતી ત્યારે પણ તેના સાસરિયાઓએ મહિલાને પિયરથી આપવામાં આવેલા દાગીના સહિતની તમામ વસ્તુઓ પચાવી પાડી હતી અને આ વસ્તુઓ લગ્ન પછી ભૂલી જજે નહિતર ક્યારેય રાજસ્થાનમાં પગ નહીં મૂકી શકે તેવી ધમકી આપી આ મહિલાને અડધી રાત્રે પહેરેલા કપડે કાઢી મુકી હતી. જ્યારે જ્યારે આ મહિલાનો પતિ અમદાવાદ આવતો હતો ત્યારે હંમેશા ચિક્કાર દારૂના નશામાં જ રહેતો હતો અને તારા બાપે કઇ આપ્યું નથી તેમ કહી સતત મહિલાના મા બાપ વિશે ગાળાગાળી કરતો હતો. જેથી મહિલા પણ સમાજને બતાવવા માટે અમદાવાદ તેના પિયરમાં જ રહેતી હતી અને અહીં નોકરી કરતી હતી. જેનો તેના સાસરિયાઓએ સખત વિરોધ દર્શાવ્યો હતો.

તેમ છતાં આ મહિલા ટોપ ઓફ યુનિવર્સિટી હોવાથી સારી ઓફર આવતા એક યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટની પોસ્ટ માટે એપ્લાય કર્યું હતું. આ મહિલાનો પતિ તેને પોલીસના ગેસ્ટ હાઉસમાં ઉતારો આપી ત્યાં દારૂ પીને મારામારી કરતો હતો અને બાથરૂમમાં પૂરી દેતો હતો. જ્યારે મહિલા ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી ત્યારે તેની માર્કશીટ પણ ફાડી નાખી હતી. જેથી મહિલા ઇન્ટરવ્યૂ પરીક્ષા પાસ કરી શકી ન હતી અને પત્નીને મૂકીને પતિ રાજસ્થાન જતો રહ્યો હતો. આટલું જ નહીં આ મહિલાનો પતિ બાળક લાવવા માટે રાજી ન હતો અને તમામ સાસરિયાઓએ આ મહિલાને બાળક દુનિયામાં ના લાવે તે માટે ખુબ જ ત્રાસ પણ આપ્યો હતો અને બાળક એબોર્શન કરાવી દેવા માટે ખૂબ જ કોશિશ પણ કરી હતી.

પરંતુ આ મહિલાના પેટમાં ઉછરી રહેલ બાળકને તે મારવા માંગતી ન હોવાથી તેના સાસરિયાઓએ તેને માર માર્યો હતો. જે સમયે આ મહિલાને ત્રણ માસનો ગર્ભ હતો. સાસરીયાઓથી કંટાળીને આ મહિલા ત્યાં રહેતી હતી છતાંય સાસરિયાઓએ અલગ-અલગ બહાના કાઢી આ મહિલાને ત્રાસ આપ્યો હતો અને બાદમાં એક દિવસ બપોરે તેને કાઢી મૂકી હતી. પરંતુ રાજસ્થાનમાં તેનું ઓળખીતું કોઈ ન હોવાથી તેને કોઈએ આબુરોડ જઈને અમદાવાદ ની બસ મળી જશે એવું કહેતા આ મહિલા નીકળી ગઈ હતી.

બાદમાં ચાના સ્ટોલ વાળા પાસેથી ઉધાર પૈસા લઈને અમદાવાદ આવવા માટે નીકળી હતી. સાસરિયાઓએ કાવતરું રચી આ મહિલાને નોકરી ન કરવા દેતા આખરે મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને બાદમાં તેણે ડોક્ટરની સલાહથી કોઈ કાર્ય કરવાનું જણાવતાં તેને નાના બાળકોને અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યુ હતું, જેથી તે મહિલા ખુશ પણ રહી શકે અને તેનો દવાખાના નો ખર્ચ પણ ઉઠાવી શકે.

(9:27 pm IST)