Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અમદાવાદમાં માઈક્રો કંટેનમેન્ટ વિસ્તારની સંખ્યામાં સતત ઘટાડો : 7 વિસ્તારો દૂર કરાયા : 5 ઉમેરાયા

પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ યથાવત

અમદાવાદ: ગુજરાતમાં આજે કોરોનાના કેસોનો આંકડો 992 નોંધાયો હતો. ગઇકાલ કરતાં  આજે કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગઇકાલે 909 કેસો જ હતા અમદાવાદમાં આજે 158 કેસો નોંધાયા છે. મતલબ કે ગઇકાલ કરતાં બે કેસો ઘટયા છે. જયારે અમદાવાદ શહેરમાં આજે માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યામાં પણ ધીમી ગતિએ ઘટાડો થતો જાય છે. આજે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારનો આંકડો 95ની નજીક પહોંચ્યો છે. તેના પરથી અમદાવાદ શહેરમાં કોરોનોનો માઇક્રો કન્ટેનમેન્ટનો પ્રભાવ ઘટયો હોય તેમ જણાય છે.

આજે 5 જ નવા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં છે. તેની સામે 7 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા ઓછી રહેવા પામી છે. આજના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો જોતાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ યથાવત રહ્યો છે. આજે જાહેર થયેલા 5 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાંથી ચાર પશ્ચિમ વિસ્તારના છે. ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારના બે બે સ્થળો તથા દક્ષિણ ઝોનના એક વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 97 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 7 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 5 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 97 વિસ્તારોમાંથી 7 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 90 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 5 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 95 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ઝોન તથા ઉત્તર પશ્ચિમ ઝોનના બે બે સ્થળો છે. જયારે દક્ષિણ ઝોનનો એક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં મણિનગર, બોપલ, વેજલપુર, ચાંદલોડિયા તથા ગોતા વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 28મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(10:57 pm IST)