Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

૨૦૨૧નો રાજ્યવ્યાપી જનાદેશ ૨૦૨૨ના રાજકારણની દિશા બતાવશે

૬ કોર્પોરેશનો, ૮૧ નગરપાલિકાઓ, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણી અનેક નવલોહિયાઓની રાજકીય કારકિર્દીના દ્વાર ખોલશે : ભાજપ - કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓની આકરી કસોટી : અન્ય પક્ષોના ભાવિ માટે પણ ચૂંટણી મહત્વની

રાજકોટ તા. ૨૮ : ગુજરાતના ગ્રામીણ અને શહેરી બન્ને ક્ષેત્રોને આવરી લેતા જનાદેશનો અવસર આવી પહોંચ્યો છે. તા. ૨૧ ફેબ્રુઆરીએ ૮૧નગરપાલિકાઓ અને ૬ મહાનગરપાલિકાઓ માટે તથા ૨૮ ફેબ્રુઆરીએ ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે મતદાન થનાર છે. આ રાજ્યવ્યાપી જનાદેશ ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણીના વર્ષની રાજકીય દિશા બતાવશે. ૨૦૨૨ના નવેમ્બરમાં ધારાસભાની ચૂંટણી આવવાપાત્ર છે. ૨૦૨૦ના ડીસેમ્બરના બદલે કોરોનાના કારણે ચૂંટણી ૨૦૨૧માં યોજાઇ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામથી રાજ્યમાં (સરકારમાં) સત્તા ક્ષેત્રે કોઇ ફેર પડતો નથી છતાં લગભગ સમગ્ર રાજ્યનો જનાદેશ હોવાથી તેના રાજકીય પડઘા મોટા પ્રમાણમાં પડશે. ૪૭ હજારથી વધુ મતદાન મથકો પર મતદાન થશે. ૪ કરોડથી વધુ મતદારો નોંધાયા છે. કોરોના કાળમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે. ભાજપ - કોંગ્રેસના અને સરકારના મુખ્ય આગેવાનો માટે આ ચૂંટણી કસોટીરૂપ છે. આ વખતની ચૂંટણીમાં હજુ સુધી કોઇની તરફેણમાં કે વિરોધમાં કોઇ મુદ્દો ખડકાયેલો જણાતો નથી. ભાજપ પેજ પ્રમુખની યોજના અને સરકારની સિધ્ધીઓના આધારે લડવા માંગે છે. કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો અને સરકારની નબળાઇઓ લોકો સમક્ષ મૂકી રહી છે.

પાલિકા - પંચાયતોની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોનું ભાવિ પણ નક્કી થઇ જશે. સ્થાનિક ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ અને એક-એક મત અગત્યના હોય છે. અનેક ઉમેદવારો જીવનમાં પ્રથમ ચૂંટણી લડનાર હોવાથી તેમની રાજકીય કારકિર્દીના નવા દરવાજા ખૂલશે. ધારાસભાની ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ શું છે ? તે આ ચૂંટણીના પરિણામથી સ્પષ્ટ થશે.

(11:37 am IST)